Wednesday, July 25, 2012

આ પણ એક જાતનું સુપારી કિલીંગ છે!


            ગળથૂથી
 સુપારી કિલીંગની ઘટના અને એક ભૃણહત્યાબન્નેમાં તાત્વિક રીતે તો કોઇ જ ફરક હોય એવું લાગતું નથી એ જોતાં તો હત્યા કરાવનાર અને હત્યા કરનાર માટે ઇન્ડિયન પિનલ કોડની જે કલમો છે એજ આ ઘટનામાં લાગુ કરી દેવી જોઇએ!


            આજથી આઠ દસ વર્ષ પહેલાં મુંબઈ જતી વખતે સુરતથી ટ્રેન પસાર થતી ત્યારે એક  ક્લિનિક ના બોર્ડ ઠેકઠેકાણે જોવા મળતાં જેમાં બહુ સ્પષ્ટ રીતે લખેલું હતું કે ગર્ભપાત કાયદેસર છે અને સાથે સાથે ગર્ભપાતનો ભાવ પણ લખેલો  જોવા મળતો. આ  ક્લિનિકનાં આવી જાહેરાતનાં પાટિયાં ટ્રેનની અંદર ને રેલવે પ્લેટફૉર્મ પર પણ જોવા મળતાં અને અન્ય શહેરોમાં પણ બ્રાન્ચ હતી, આવું ઘણા વર્ષો સુધી ચાલ્યું અને કાયદેસર રીતે આખા દેશમાં આ આવાં બીજાં કતલખાનાંઓ દ્વારા કરોડો નહીં જન્મેલાં શિશુઓને માત્ર એમની જાતી નારી હોવાના કારણે આ ધરતી પર પહેલો શ્વાસ લેવાનો પણ હક્ક ના મળ્યો. એ પછી ૧૯૯૪માં સરકાર અચાનક સફાળી જાગી અને PDNT Act (THE PRE-NATAL DIAGNOSTIC TECHNIQUES Act 1994) અસ્તિત્વમાં આવ્યો અને ભૃણના જાતી પરીક્ષણ પર કાયદેસર રીતે પ્રતિબંધ લાગી ગયો.
              તો શું ખરેખર ત્યારથી કન્યાભૃણનું નિકંદન નીકળવાનું બંધ થઈ ગયું? અતિ ભ્રષ્ટ અને લોકોની લાશોમાંથી પણ પૈસા પેદા કરી લેવાની વૃત્તિ ધરાવતા રાજકારણીઓ અને અધિકારીઓ તથા કોઇ પણ સારા કાયદામાં થી છીંડા શોધીને પોતાનો ટૂંકા ગાળાનો સ્વાર્થ સાધવા માટે થઈને એની બૂરી વલે કઈ રીતે કરવી એવી માનસિકતા ધરાવતા નાગરિકોના આ દેશમાં શક્ય છે? આ કાયદાની એજ હાલત થઈ જે અત્યારે ગુજરાતમાં દારૂબંધીની છે! ગમે ત્યારે માગો એટલે શરાબ મળી જાય છે, બસ માત્ર તમારી તૈયારી પાંચથી દસગણી કિંમત ચૂકવવાની હોય! પહેલાં જે કામ સાતસોથી હજારમાં થતું હતું એના અત્યારે પાંચથી પચ્ચીસ હજાર ચૂકવવા પડે છે, જે કામ પહેલાં છડેચોક પાટિયા મારી જાહેરાત કરીને થતું હતું એ હવે છાના ખૂણે થાય છે, બસ એટલું જ! માત્ર કાયદો બનાવી નાખવાથી હેતુ સિદ્ધ થતો નથી, કાયદાનો યોગ્ય રીતે અમલથાય એ જોવાની ઇચ્છા શક્તિ પણ હોવી જરૂરી છે અને એ ઉપરાંત જરૂર છે સમાજવ્યવસ્થાને બદલાવવા માટે થઈને કુરિવાજોને દૂર કરવાની અને જાગૃતિ લાવવાની.

             જો કે આ દૂષણનાં મૂળ અને એની પાછળનાં કારણો સદીઓ જૂનાં છે, બસ ફરક એટલે છે કે આજે એની પાછળનાં કારણો એનાં એજ છે પરંતુ સમયની સાથે આ દૂષણનું આધુનિકીકરણ થયું છે. પહેલાના જમાનામાં દીકરી જન્મે એટલે તુરતજ એને દૂધના મોટા તપેલાંમાં ડુબાડીને મારી નાખવામાં આવતી અને આ જઘન્ય કૃત્યને માટે સરસ મજાનું નામ આપવામાં આવેલું દીકરીને દૂધ પીતી કરી દેવી’! માત્ર ભારતમાં જ નહીં પરંતુ એક સમયે આરબો પણ પુત્રીના જન્મને પોતાની બેઇજ્જતી માનતા અને દીકરા જન્મતાંની સાથે જ એને જીવતી દફન કરી દેતા. મેડિકલ સાયન્સના વિકાસની સાથે અલ્ટ્રાસોનોગ્રાફીની શોધ થઇ ત્યારે એના શોધક ને ખબર નહીં હોય કે માતાના ગર્ભમાં શિશુનું સ્વાસ્થ જાણવાના તથા પુખ્ત લોકોની બિમારીઓમાં નિદાનમાં સહાયરૂપ થાય એવા સારા હેતુથી શોધાયેલું આ સાધન ભવિષ્યમાં કરોડો હત્યાનું નિમિત્ત બનવાનું છે! એમ તો આલ્ફ્રેડ નોબેલને પણ ક્યાં ખબર હતી કે ખોદકામમાં સરળતા કરી આપવા માટે એણે શોધેલી ડાયનેમાઇટનો ઉપયોગ કરીને ભવિષ્યમાં માણસ બૉમ્બ બનાવવાનો છે! પણ આતો માણસજાત છે, એ તો હળને પણ હથિયાર બનાવી શકે છે!


             દીકરીને જન્મ્યા પહેલાં જ માંના ગર્ભમાં દમ તોડી દેવો પડે છે એની પાછળ સૌથી વધારે જવાબદાર છે દહેજનો રાક્ષસ. જે સમાજમાં દીકરીના લગ્ન માટે જિંદગીભરના ઉતરે એટલું કરજ કરીને દહેજ ચૂકવવું પડતું હોય અથવા રીતરિવાજના કારણે જંગી ખર્ચ કરવો પડતો હોય અને પહોંચ ના હોય ત્યારે સ્વાભાવિક છે કે મા-બાપ દીકરીને બોજ માનીને એનો જનમવાનો અધિકાર છીનવે છે. વળી, હિન્દુધર્મમાં ભલે કહ્યું હોય કે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમંતે સ્તત્રેવ દેવતાપણ સાથે સાથે શાસ્ત્રોએ એ પણ કહ્યું છે કે જે પું નામના નર્કમાંથી તારે તે પુત્ર’ (પછી ભલે એ પુત્ર મા-બાપને જીવતાં નર્કનો અનુભવ કરાવે!) એટલે અગ્નિદાહ દેવા માટે અને પિંડદાન કરવા માટે પુત્ર તો જોઇએ જ! અને મોટા ભાગે તો સાસુજીઓનો જ આવો દુરાગ્રહ હોય છે. વળી, આજે ડગલે ને પગલે છેડતી અને બળાત્કાર જેવા સ્ત્રી વિરોધી અપરાધ થાય છે ત્યારે માતા-પિતા પોતાની દીકરીને લઈને સતત અસુરક્ષાનો અનુભવ કરે એ સ્વાભાવિક છે, આમ એક રીતે જોવા જઈએ તો સ્ત્રીભૃણ હત્યા એ પોતે સમસ્યા નથી પરંતુ એવાં અનેક દૂષણનું પરિણામ છે જે એક વિષચક્રની માફક એકબીજાની સાથે જોડાયેલાં છે એટલે જો કન્યાભૃણ હત્યાનો અંત લાવવો હશે તો હશે તો માત્ર કાયદો બનાવ્યાથી કામ નહીં ચાલે પરંતુ આ કારણોના વિષચક્રને તોડવું પડશે, સામાજિક જાગૃતિ લાવવી પડશે.

            સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જે સમાજ શિક્ષિત હોય એ કુરિવાજોથી દૂર હોય અને સામાજિક રીતે જાગૃત હોય, પરંતુ અહીં એનાથી ઊલટું છે. આંકડાઓ સાબિત કરે છે કે જે લોકો ઓછા ભણેલા છે અથવા આપણે જેને પછાત ગણીએ છીએ એ લોકો કરતાં કહેવાતા ભણેલા ગણેલા અને સમાજમાં આગળ પડતા લોકો પોતાની દીકરીની હત્યા કરવામાં પણ ઘણા આગળ છે! માખી, વંદા કે મચ્છરને મારવામાં પણ જે લોકોને ધર્મ આડો આવે છે એ લોકોને પણ પોતાનું જ સંતાન જો દિકરી હોય તો માં ના ગર્ભમાં જ મારી નાખવામાં કોઇ અધર્મ નથી લાગતો! અંગ્રેજી ભાષામાં એક શબ્દ છે Cannibal, આનો અર્થ એવો છે કે જે પોતાની જ જાતિનો શિકાર કરે છે એવું પ્રાણી. અલબત્ત, Cannibalism એટલે કે આ પ્રકારની વૃત્તિ સામાન્ય રીતે માંસાહારી પ્રાણીઓમાં પણ જવલ્લેજ જોવા મળે છે, જ્યારે માણસજાત તો ધર્મ, દેશ કે પછી સંપત્તિ કે એવા કોઇને કોઇ બહાના હેઠળ આ  Cannibalism આચરતી રહે છે અને એમાંયે પોતાનું જ સંતાન પોતાની ઇચ્છિત જાતિનું ન હોય એટલે એને મારી નાખવું એવું કેનિબાલીઝમ તો માણસ સિવાય કોઇ જાનવરમાં નથી, છતાં માણસ કોઇને ઉતારી પાડવા માટે ગાળ તરીકે જાનવરશબ્દનો ઉપયોગ કરે છે! આ ચોપગાં જો એકબીજાની સાથે પોતાની ભાષામાં કૉમ્યુનિકેશન કરી શકતાં હશે તો ચોક્કસપણે એમની ડિક્શનેરીમાં માણસશબ્દ બહુ ભૂંડાબોલી ગાળ તરીકે વપરાતો હશે!

             સુપારી કિલીંગ એટલે અમુક ચોક્કસ રકમમાં કોઇની હત્યાનો કોંટ્રેક્ટ લેવો. એક ગુંડો જે રીતે પૈસા માટે કોઇની હત્યા કરે છે એ રીતે એક ડૉક્ટર પણ પૈસા માટે એક શિશુને માતાના ગર્ભમાં મારવા તૈયાર થઈ જાય છે અને અહીં એ ન જન્મેલા નિર્દોષ શિશુની સોપારી આપનાર ખુદ એનાં જ મા-બાપ છે એ જોતાં સુપારી કિલીંગની ઘટના અને એક ભૃણહત્યા, બન્નેમાં તાત્વિક રીતે તો કોઇ જ ફરક હોય એવું લાગતું નથી, તો હત્યા કરાવનાર અને હત્યા કરનાર માટે ઇન્ડિયન પિનલ કોડની જે કલમો છે એજ આ ઘટનામાં લાગુ કરી દેવી જોઇએ નવા કોઇ કાયદાની જરૂરજ ક્યાં છે? શું કહો છો?

*  *  *
            
             અંતમાં એક મિત્રના ઇમેઇલ દ્વારા મળેલી એક સુંદર અને સંવેદનશીલ વાત, જે આમ તો
એનાં કારણોને લઈને મૂળ મુદ્દા કરતાં જુદી પડે છે છતાં ભાવનાત્મક રીતે જોડાણ છે એટલે અહીં વહેંચવાની લાલચ રોકી શકાતી નથી....

             -એક ચિંતાતુર સન્નારી પોતાની કાખમાં એક વર્ષના બાળકને તેડીને એ ગાયનેકોલોજીસ્ટની ચેમ્બરમાં દાખલ થઈ અને ડૉક્ટરને કહ્યું, ”ડૉક્ટર સાહેબ, હું બહુજ ગંભીર સમસ્યામાં ફસાઈ ગઈ છું અને એમાંથી તમે જ મને બચાવી શકો એમ છો પ્લીઝ...

             “હાં, બોલો બહેન, હું શું મદદ કરી શકું?” ડૉક્ટરે બહુ જ સૌજન્યપૂર્ણ નજર માંડીને કહ્યું.

             “સાહેબ, મારી આ દિકરી હજુ તો એક વર્ષની જ છે ત્યાં હું ફરીથી ગર્ભવતી થઈ છું, અને હું નોકરી કરૂં છું. નોકરીની સાથે આ બે નાના બાળકોની સંભાળ લેવાનું મારા માટે શક્ય નથી એટલે મારે ગર્ભપાત કરાવી નાખવો છે.

             ડૉકટરે આ સાંભળી કંઈક વિચારી એક ઊંડો શ્વાસ લેતાં કારુણ્યભરી દૃષ્ટિ નાખીને કહ્યું, “ ઓકે બહેન, તારી વાત સાચી છે, તારી સમસ્યા ઘણી ગંભીર છે હું સમજી શકું છું, અને એટલે જ મેં તારા માટે એક એવો ઉપાય વિચાર્યો છે જેમાં તારે બે બાળકોની સંભાળ ના લેવી પડે અને સાથે સાથે ગર્ભપાતની પીડા પણ ન વેઠવી પડે!

             “ઓહ ડૉક્ટર..! ખરેખર? હું આપની બહુજ આભારી થઈશ, મને જલદીથી બતાવો!

             “જો બહેન તારી સમસ્યા એ છે કે તું બે બાળકોને સંભાળી શકે એમ નથી..બરાબર? તો આપણે એવું કરીએ કે આ તેં કાખમાં તેડેલી એક વર્ષની દીકરી છે એને ઝેરનું ઇંજેક્શન આપી મારી નાખીએ, એટલે તારે ગર્ભપાતની પીડા પણ વેઠવી નહીં અને તારો પ્રૉબ્લેમ સોલ્વ!

             પેલી સ્ત્રી, એક ક્ષણ માટે સન્ન થઈ ગઈ અને પછી ગુસ્સાથી ફાટી પડી, “તમે આ કેવી બેવકૂફ જેવી વાત કરો છો ડૉક્ટર! મારાં બાળકની હત્યા કરવાની વાત કરો છો? તમે આવું ભયાનક વિચારી પણ કેવી રીતે શકો?” એ બાઇ ગુસ્સાથી ધ્રૂજતાં બોલી.

             ડૉક્ટરે એકદમ શાંતિથી કહ્યું, “સાચી વાત છે બહેન, હું પણ એજ કહું છું જે તું કહે છે!

             પેલી સ્ત્રીને ડૉક્ટરનો કહેવાનો મતલબ સમજાયો અને પસ્તાવાથી રડતી એ ડૉક્ટરને પગે લાગી, “મને માફ કરી દો સાહેબ..!એમ બોલી એ ચેમ્બર છોડી પોતાની કાખમાં તેડેલી દીકરીને માથે હાથ ફેરવતી નીકળી ગઈ...

*  *  *
            
             આ તો એક કાલ્પનિક વાત છે એટલે એમાં આવો અંત આવે, બાકી વાસ્તવમાં તો એવું હોય કે ગુસ્સાથી ચિડાઈ, એ ડૉક્ટર સામે એક નફરતભરી નજર નાખી ચેમ્બરમાંથી બહાર નીકળી એ બાઇએ બીજા ડૉક્ટરના  ક્લિનિક તરફ પોતાની કાર દોડાવી મૂકી!

ગંગાજળ:

"કહેવાતો સુધરેલો સમાજ જે રીતે અને જે પ્રમાણમાં માતાની કૂખને જ કન્યાભૃણનું કબ્રસ્તાન બનાવી રહ્યો છે એ જોતાં લાગે છે કે મહાભારતનો યુગ બહુ દૂર નથી!
             

Tuesday, July 17, 2012

બહોત નીકલે મેરે અરમાં, લેકિન ફિરભી કમ નીકલે!


            ગળથૂથી:
સાધુતા એ કપડાંનો રંગ નથી પણ મનની અવસ્થા છે.


            અંગ્રેજી ભાષામાં એક શબ્દ છે ‘Streak’ જેનો અર્થ આમ તો એકદમ સીધો સાદો ઝડપથી જવું અથવા ઝડપથી દોડી જવુંએવો થાય છે પરંતુ ૧૯૭૩માં વોશિંગ્ટનમાં આયોજિત થયેલ  mass nude run નું રિપોર્ટીંગ કરતા કોઇ લોકલ રેડિયો સ્ટેશનના પત્રકારે, ઘટનાનું લાઇવ બ્રોડકાસ્ટીંગ કરતી વખતે નિર્વસ્ત્ર લોકોનો સમૂહ પોતાની પાસેથી પસાર થવાની ઘટનાને માટે  "they are streaking past me right now.” આવો વાક્ય પ્રયોગ કરી એક સાવ ફરાળી કહી શકાય એવા નિર્દોષ શબ્દને એક નવો અર્થ આપી દીધો! ત્યાર પછી, વિશ્વમાં કોઇ પણ જગ્યાએ જાહેર સ્થળે રીતે નાગડા-પુગડા દોડી જતા લોકોને માટે સ્ટ્રીકર શબ્દ વપરાવા લાગ્યો. વિદેશમાં ખાસ કરીને સ્પોર્ટ્સમાં આવી ઘટનાઓ વારંવાર બનતી જોવા મળે છે. રગ્બી, ગોલ્ફ, બુલફાઇટીંગ, ફૂટબોલ, ક્રિકેટ કોઇ રમત આમાંથી બાકાત નથી રહી, ખાસ કરીને ફૂટબોલ તો સ્ટ્રીકરની પહેલી પસંદ રહી છે. વળી, સ્ટ્રીકિંગ માત્ર પુરુષોનો ઇજારો છે એવું નથી, પશ્ચિમમાં પુરુષ સમોવડી થવાની લાહ્યમાં કન્યાઓ પણ સ્ટ્રીકિંગ કરવામાં પાછળ કેમ રહી જાય! આપણા લિવીંગ લીજંડ લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કરને ઇન્ગ્લેન્ડમાં એક મેચ દરમ્યાન આવો અનુભવ થયેલો છે, સુનીલ ગાવસ્કરની બેટીંગ દરમ્યાન એક શ્વેતવર્ણ કન્યા નિર્વસ્ત્ર હાલતમાં મેદાન પર દોડી આવી હતી.

                અહીં મોટા ભાગે સ્ટ્રીકરનો હેતુ કોઈ પણ પરિણામ ભોગવવાની તૈયારી સાથે લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવાનો હોય છે. પોતાના ક્ષેત્રમાં કંઈક કરી, સફળતા મેળવી લોકોને આકર્ષિત કરવામાં મળેલી નિષ્ફળતા જ્યારે માનસિક બિમારીની હદ સુધી પહોંચે ત્યારે સ્ટ્રીકિંગમાં પરિણમે છે, કેટલાક એકાદ વખત સ્ટ્રીકિંગ કરી અટકી જાય છે જ્યારે માનસિક બિમારી ગંભીરરૂપ ધારણ કરે છે ત્યારે સ્ટ્રીકિંગ હોબીમાં ફેરવાઇ જાય છે! અહીં, આપણા દેશમાં પ્રકારનું સ્ટ્રીકિંગ જોવા મળતું નથી પરંતુ વાણી વિલાસ અથવા પોતાના વર્તન દ્વારા પોતાને સામાજિક રીતે નિર્વસ્ત્ર કરી નાખનારા સ્ટ્રીકરો ઠેર ઠેર જોવા મળે છે. આજે અહીં આપણે રીતે સ્ટ્રીકિંગ કરતા રહેતા આપણા દેશના કેટલાક એવા સ્ટ્રીકરોની વાત કરવી છે, જેમની વચ્ચે જાણ્યે અજાણે સ્ટ્રીકર નંબર વન બનવા માટે સતત સ્પર્ધા ચાલતી રહે છે અને વારાફરતી એકબીજાને પછાડીને પહેલો નંબર પ્રાપ્ત કરતા રહે છે!

                હાલ સ્ટ્રીકરોની જમાતમાં પશ્ચિમ બંગાળની શિવામ્બુ વાળી ઘટનાના અનુસંધાને અગડંબગડં નિવેદન કરી સ્ટ્રીકર નંબર વન હોવાની લ્યાનત ભરેલી બાદશાહત ભોગવી રહેલા છે સ્વામી અગ્નિવેશ! ૨૧ સપ્ટેમ્બર ૧૯૩૯ ના રોજ છત્તીસગઢમાં જન્મેલા સ્વામી અગ્નિવેશનું પૂર્વાશ્રમનું નામ  શ્યામ રાઓ હતું. કાયદો અને અર્થશાસ્ત્રની ડિગ્રીઓ મેળવ્યા બાદ પાંચેક વર્ષ સુધી કોલકાતાની એક કૉલેજમાં બિઝનેસ મૅનેજમેન્ટના લેક્ચરર તરીકે સેવાઓ આપનારા સ્વામીજી પછીથી રાજકારણમાં જોડાઈ હરિયાણા વિધાનસભાના સભ્ય પણ બન્યા હતા અને વેઠિયા મજૂરો પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં રાજીનામું આપ્યું ત્યારે હરિયાણામાં શિક્ષણ મંત્રી હતા. રીતે એમણે આજના બેશર્મ બની કોઈપણ ભોગે પોતાની ખુરસીની વળગી રહેતા રાજકારણીઓની જેમ સત્તાલોલુપ નહી બની રહેતાં એક ઝટકે મંત્રીપદ ફગાવેલું. મંત્રીપદ પર રહેતાં એમણે બોન્ડેડ લેબર લિબરેશન ફ્રન્ટનામની એક સંસ્થાની સ્થાપના કરી જેનું કામ મુખ્યત્વે વેઠિયા મજૂરોની સમસ્યાઓને ઉજાગર કરવાનું  હતું.

                હરિયાણા સરકારમાંથી મંત્રીપદ છોડવાની સાથે સ્વામીજી સક્રિય રાજકારણ પણ છોડી દીધેલું અને પછી ઘણા લાંબા સમય સુધી ગુમનામીના અંધકારમાં ખોવાઈ ગયેલા, પણ કોણ જાણે ક્યારે એક દિવસ અચાનક (કોઇ પણ ભોગે) પ્રસિદ્ધિમાં રહેવાની રેશમી સાપણ ડંખી ગઈ, પછી આજની ઘડીને કાલનો દિ, સ્વામી અગ્નિવેશજીએ પાછું વળીને જોયું નથી! અચાનક આવી પડતી મુસીબતો માટે કાઠિયાવાડમાં એક રૂઢિપ્રયોગ છે, ’ભોં માંથી ભાલા ઊગી નીકળવાંપણ સ્વામીજી તો જાણે રીતસર વિવાદમાં રહેવા માટે થઈને આવાં ભાલાંઓની ખેતી કરતા હોય એવું લાગે છે. માઓવાદીઓ માટેની એમની સુંવાળી લાગણીઓ જગ જાહેર છે. માઓવાદી આઝાદના મોત પર સ્વામીજી દુ:ખી દુ:ખી થઈ ગયેલા અને એમના દુ:ખી થવાથી દુભાયેલા છત્તીસગઢના એક માઓવાદ પીડિત આદિવાસી ગ્રામજનો (જેમાં મુખ્યત્વે મહિલાઓ હતી) સ્વામી અગ્નિવેશ આણી મંડળી પર એવી તો પાણાવાળી કરેલી કે ત્યાંથી જીવ બચાવીને ભાગવું ભારે થઈ પડેલું!


                રીતે વિવાદાસ્પદ વિધાનો અને નિવેદનો કરીને સતત પ્રસિદ્ધિમાં રહેવાનો સ્વામીજીનો આઇડિયા એક રીતે (એમના દ્રષ્ટિકોણથી સ્તો!) ફળ્યો, જેમના માટે માત્ર ટી.આર.પી. સર્વસ્વ છે અને જેમને ચોવીશ કલાકની એમની દુકાન કોઇ પણ ભોગે ચલાવવી છે એવી ન્યૂઝ ચેનલો વિવાદાસ્પદ મુદ્દાઓની ચર્ચામાં સ્વામીજીને મહત્વ આપવા લાગી. સસ્તી પ્રસિદ્ધિના નશાએ સ્વામીજીને વધારે બહેકાવ્યા અને સ્વામીજીએ વધુને વધુ સ્ટ્રીકિંગ ચાલુ કર્યું. હમેશા બહુમતી સમાજને ગમે એવું બોલવું પ્રકારની માનસિકતાના પરિણામે વિશ્વભરમાં ફેલાયેલા કરોડો ભારતીયોની આસ્થાની પ્રતીક એવી અમરનાથ યાત્રા પર પણ કશુંક એલફેલ બોલી બેઠા, પરિણામે યુપીની એક કોર્ટની તારીખો તો પડે છે ઉપરાંત અન્ના હજારેના આંદોલન માટે સમર્થન મેળવવાના હેતુથી અમદાવાદમાં યોજાયેલી એક સભા દરમ્યાન એક સાધુએ એવી તો કચકચાવીને ગાલ પર ખેંચી લીધી કે પાઘડી પણ ઊડી ગયેલી! વળી, નડિયાદ પાસેના કોઇ ગામના મંદિરના મહંત નિત્યાન્દદાસજીએ સ્વામી અગ્નિવેશને જોડો મારનારને રોકડા રૂપિયા ૫૧૦૦૦/-નું ઇનામ પણ જાહેર કર્યું! (સ્ટ્રીકિંગમાં વળી પાછું પેટા સ્ટ્રીકિંગ!)


                જે અન્ના હજારે માટે આખા દેશમાં ફરીને સમર્થન માગ્યું, એજ અન્નાજીની પીઠમાં ખંજર ભોંકી એજ આંદોલનના મેદાન પરથી અન્નાજીની જાસૂસી કરતા અને કપિલ સિબ્બલને ફોન કરી અન્નાજી વિષે એલફેલ બોલતા સરા જાહેર કૅમેરા સામે ઝડપાયા પછી, ઊલટો ચોટ કોટવાળને દંડે એમ ટીમ અન્ના પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવાના ચાલુ કર્યા, અહીં પણ સ્ટ્રીકિંગ પૂરેપુરૂં કામયાબ રહ્યું, ટી.આર.પી.ના ભૂખ્યા મીડિયાએ સ્વામીજીને જેટલું જોઈતું હતું એનાથી પણ વધારે કવરેજ આપ્યું ઉપરાંત બિગ બોસ જેવા બદનામ શો ને પણ સ્વામીમાં પોતાના ફાયદાનું પોટેન્શિયલ જડી આવ્યું ને સ્વામીજી પાછા પોતાના પાવન પગલાં ત્યાં કરી પણ આવ્યા!

                વિધિની વક્રતા કેવી છે કે જે વેઠિયા મજૂરોના માટે થઈને એક જમાનામાં એક એન.જી..ની સ્થાપના કરી હતી અને પ્રધાનપદું ફગાવ્યું હતું એજ એન,જી..ના નેજા હેઠળ પાંચ વર્ષ પહેલાં દિલ્હી સરકારના અઢાર લાખ ગુપચાવ્યાની નોટીસોના જવાબ પણ નથી આપી શકાતા!

                                હમણાંની તાજી ઘટના પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલી છે જેમાં નોક્ચર્નલ એન્યુરેસીસ’(જેમાં ઊંઘમાં અજાણતાં પથારીમાં પેશાબ કરી જવાય છે)ની બિમારી ધરાવતી  વિશ્વ ભારતી યુનિવર્સિટીની  એક દશ વર્ષની છાત્રાને હોસ્ટેલની વૉર્ડને પોતાના પેશાબ વાળી પથારી ચાટવાની સજા કરી, સ્વાભાવિક રીતે જેવી ઘટના બહાર આવી એટલે આખા દેશમાં એની ઘોર નિંદા થઈ, પણ સ્વામી અગ્નિવેશજી જેનું નામ, એને તો અહીં પણ સ્ટ્રીકિંગનો એક સોનેરી અવસર દેખાયો અને ઘટનામાં વૉર્ડનના બચાવમાં ઊતરી એને સ્વમૂત્ર ચિકિત્સામાં ખપાવવાની કોશિશ કરી. સ્ટ્રીકિંગ ફરી એકવાર સફળ રહ્યું અને આખા દેશમાં સ્વામીજી પર તડાપીટ બોલી ગઈ. ફેસબુક અને ટ્વીટર જેવી સોસ્યલ નેટવર્કિંગ સાઇટ પર તો સ્વામીની એવી ભાષામાં ફીરકી લેવાઈ છે કે રૂચીભંગની સંભાવનાના  કારણે અહીં લખી શકાય એમ નથી.

                એક જમાનામાં દેશમાં સ્ટ્રીકર તરીકે રાખી સાવંતનું એકચક્રી શાસન ચાલતું હતું અને મીડિયાને પોતાની સર્જેલી એક બેટી ઓછી પડી હોય એમ પાકિસ્તાનથી વિણા મલિક પણ આયાત કરવામાં આવેલી. વચ્ચે કૉંગ્રેસ મહાસચિવ શ્રીશ્રીશ્રી ૧૦૦૮ દિગ્વિજયસિંહજીએ સ્ટ્રીકિંગમાં પોતાનો ડંકો વગાડેલો પણ આજ કાલ એમની પાર્ટીએ એમના મોઢા પર પટ્ટી મારી દીધી છે, ક્યારેક ક્યારેક અરૂંધતી રોય અને પ્રશાંત ભૂષણ જેવા લોકો પણ કાશ્મીર અંગે બકવાસ કરી યથાશક્તિ પ્રયત્નો કરતા રહે છે, પરંતુ રાજકારણ, ધર્મ અને સમાજસેવાના ત્રણ ત્રણ ઘોડા પર એક સાથે સવારી કરતા હોવાના કારણે સ્વામી અગ્નિવેશને રાખી સાવંત અને અન્ય હરીફો જે એકાદ ક્ષેત્રમાં પોતાનું હીર ઝળકાવતા હોઈ, એમના પર લીડમળે છે!

                દેશની જનતા એટલી પુણ્યશાળી છે કે એને મનોરંજનની કદી ખોટ પડી નથી અને પડવાની નથી કારણક કે  ગીતાકાર ભલેસંભવામિ યુગે યુગેનું વચન પાળે કે ના પાળે, વિદૂષકોએ વગર દીધે પાળ્યું છે!



ગંગાજળ:

સમયાંતરે પ્રોડક્ટનાં નામ બદલાતાં રહે છે,
જેમકે બિનાકામાંથી સિબાકા થયું,
માણિકચંદનું આર.એમ.ડી. 
એ રીતે એક જમાનાની
મોરારજી બ્રાન્ડ હવે અગ્નિવેશ નામથી ઓળખાય છે!