Tuesday, August 28, 2012

ઇમર્જન્સી: ઘોષિત અને અઘોષિત


         ગળથૂથી
ये सारा जिस्म झुक कर बोझ से दुहरा हुआ होगा

मैं  सजदे  में  न हीं था आपको  धोखा  हुआ  होगा 
-दुष्यंत कुमार

       ’ગુજરાતમાં અત્યારે કટોકટી જેવી પરિસ્થિતિ છે’. થોડા સમય પહેલાં, ગુજરાતના એક સિનિયર નેતાનાં આ બયાને આખા દેશમાં ખાસ્સી ચર્ચા જગાવેલી. આજકાલ સોશિઅલ મીડિયા પર સરકારે સકંજો કસવાની શરૂઆત કરી છે ત્યારે ફરીથી આ ઇમર્જન્સી’ ’આપાતકાલ’ ’કટોકટીજેવા શબ્દોનું સોશિઅલ મીડિયા પર ઘોડાપૂર આવ્યું છે, ત્યારે આજે પણ ભારતની આઝાદી પછીના ઇતિહાસનું એ સૌથી કલંકિત પ્રકરણ યાદ કરીને પચાસને પાર કરી ગયેલી જનરેશનના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ જાય છે પણ આજની જનરેશનને માટે તે આ બધા શબ્દો ખાસ મતલબ નથી રાખતા કારણકે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ આઝાદ થયા પછી ૨૬ જૂન ૧૯૭૫ થી ૨૧ માર્ચ ૧૯૭૭ સુધી  ફરીથી આ દેશ ગુલામી અને અત્યાચારની ઊંડી ગર્તામાં ધકેલાઈ ગયો હતો એની એને ખબર જ નથી!
તો શું હતી આ કટોકટી? એની પાછળના કારણો શું હતાં? એની અસરો શું થઈ? આવો થોડાં વર્ષો ફ્લેશબેકમાં જઈ સમજવાની કોશિશ કરીએ...
*****
             દિલ્હીની પચ્ચીસ જૂનની એ રાત, બીજી રાતો જેવીજ ગરમ અને સામાન્ય હતી, અમીરોના શયનખંડમાં એર કંડીશનની ઠંડક હતી, મધ્યમ વર્ગ પંખાના સહારે દિલ્હીની ગરમી સામે લડવાની કોશિશ કરતો હતો અને ફૂટપાથ પર સુતેલા લોકો કુદરતી હવાના આશરે હતા ત્યારે કોઇને પણ રાજકારણમાં પ્રસરેલી ગરમીનો અંદાજ નહોતો. બીજા દિવસની સવાર ઘણાં આશ્ચર્યો લઈને ઊગી એમાંનું એક એ હતું કે તે દિવસે દિલ્હીમાંથી એક પણ અખબાર નહોતું નીકળ્યું, કારણકે તે રાત્રે તમામ અખબારોના પ્રેસનો વીજપુરવઠો કાપી નાખવામાં આવેલો! તે દિવસે સમગ્ર દેશમાં પણ જે અખબારો નીકળ્યાં એમાંથી મોટા ભાગનાં માં તંત્રીલેખ વાળી જગ્યા કોરી હતી અથવા તો ત્યાં એવું લખેલું હતું કે દેશમાં ઇમર્જન્સી લાગુ થઈ હોવાના કારણે આજનો તંત્રીલેખ છાપી શકાયો નથી. તે રાત્રે રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી એહમદે, શ્રીમતી ગાંધી પ્રત્યેની વફાદારીની સામે રાષ્ટ્રહિતને ગૌણ સમજીને રબ્બરસ્ટેમ્પ તરીકેની એવી મીશાલ કાયમ કરી કે ઇતિહાસ કદી એમનો માફ કરવાનો નહોતો. રાષ્ટ્રપતિએ જે રીતે વિનાસંકોચે તત્પરતાથી લોકશાહીનું ગળું ઘુંટનારા અધ્યાદેશ પર સહી કરી નાખેલી એના પર પછીથી એવું કાર્ટૂન પણ આવેલ કે મહામહિમ બાથટબમાં બાથ લેતા લેતા સહી કરે છે! પોણા બે વર્ષ ચાલનારી એક એવી કાળરાત્રીની શરૂઆત થઈ જે ભારતીય લોકશાહીના ઉજળા ઇતિહાસમાં એક બદનૂમા દાગ તરીકે હમેશાં યાદ રહેવાની હતી.

             આમ તો આ ઇમર્જન્સીનાં મૂળ ૧૯૭૧માં જ નંખાઈ ગયેલાં જ્યારે બાંગ્લાદેશ વિજયને કારણે શ્રીમતી ઈન્દીરા ગાંધીનો રથ જમીનથી ચાર આંગળ અદ્ધર હતો. સ્વાભાવિક રીતેજ એ વર્ષમાં યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને સફળતા મળેલી પરંતુ શ્રીમતી ગાંધી સામે રાયબરેલીની બેઠક પર હારેલા રાજનારાયણે અલ્હાબાદ હાઇકોર્ટમાં ફરિયાદ દાખલ કરી કે શ્રીમતી ગાંધીએ ચૂંટણી દરમિયાન સરકારી મશીનરીનો દુરુપયોગ કર્યો છે. એ પછી ૧૨ જૂન ૧૯૭૫ની ઐતિહાસિક તારીખ, શ્રીમતી ગાંધી અને કૉંગ્રેસ માટે બે માઠા સમાચાર લઈને આવી, ગુજરાતે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને એવો જોરદાર પરાજયનો સ્વાદ ચખાડ્યો જે કોંગ્રેસે આઝાદી પછી આજ સુધી ચાખ્યો નહોતો, અને બીજો આવ્યો અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો, જેમાં ૧૯૭૧માં રાયબરેલીની બેઠક જીતવા માટે શ્રીમતી ગાંધીએ ગોટાળા કર્યાનું સ્વીકાર્યું અને એ ચૂંટણીને રદ ગણવાનું તો કોર્ટે ફરમાન કર્યું જ ઉપરાંત કોર્ટે શ્રીમતી ગાંધી પર છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ પણ લગાવી દીધો! કોર્ટના આ ફેસલા પછી ઘણા વરિષ્ઠ કૉંગ્રેસી નેતાઓનું માનવું હતું કે શ્રીમતી ગાંધીએ ખુરશી છોડી દેવી જોઈએ, પરંતુ સંજય ગાંધી અને એ સમયના બંગાળના મુખ્યમંત્રી સિદ્ધાર્થશંકર રેની સલાહ માનીને શ્રીમતી ગાંધીએ રાતોરાત રાષ્ટ્રપતિ પાસે અધ્યાદેશ પર સહી કરાવીને વહેલી સવારે મંત્રી મંડળની બેઠક બોલાવી ઔપચારિક રીતે સહમતી લઈને છવ્વીસમી જૂનની સવારે આખા દેશમાં આપાતકાલની ઘોષણા કરી દીધી.

             આઝાદી પછી પહેલીવાર તમામ પ્રેસ પર સેન્સરશીપ આવી ગઈ. છાપામાં છપાનારો એકએક એક અક્ષર, સરકારની નજર હેઠળ પસાર થયા પછીજ છપાતો હતો.  Maintenance of Internal Security Act (MISA) હેઠળ આખા દેશમાંથી વીણી વીણીને વિપક્ષી નેતાઓને જેલમાં નાખી દેવામાં આવ્યા, જેમાં જે.પી., અટલજી, જ્યોર્જ, અડવાણી વગેરે સામેલ હતા. આ ઓગણીસ મહિના દરમિયાન આખા દેશમાંથી એક લાખ ઉપરાંત લોકોને કોઇજ કારણ આપ્યા સિવાય પકડીને જેલમાં પૂરી દેવામાં આવ્યા. ઉપરાંત કોંગ્રેસના પણ જે નેતાઓ લોકશાહીની તરફેણમાં હતા એમને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા.આર એસ એસ અને એના જેવાં અન્ય સંગઠનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. જેલમાં ધકેલાયેલા લોકો પર અસહ્ય અત્યાચાર ગુજારવામાં આવ્યો. હદ તો ત્યારે થઈ કે એ વિનાકારણે જેલમાં ગયેલા લોકો વતી ન્યાયાલયમાં દાદ માગવામાં આવી અને જે જે ન્યાયાધીશો સરકારના આ પગલાને અન્યાયી ગણાવ્યું જે ન્યાયાધીશોની સજાના ભાગરૂપે બદલી કરી નાખવામાં આવી! આખા દેશમાં એવું વાતાવરણ હતું કે શ્વાસ લેવો હોય તો પણ સરકારની મંજૂરીથી લેવો પડે! મને યાદ છે કે એ દિવસોમાં હું નવમા ધોરણમાં હતો ને અમારી હાઈસ્કૂલમાં યોજાયેલી એક વક્તૃત્વ સ્પર્ધામાં વિષય તરીકે કટોકટી ના ફાયદા અને ગેરફાયદાઆવું કંઈક હતું, ભાગ લેનાર વિદ્યાર્થીમાં એક પણ એવો નહોતો જે કટોકટીના ગેરફાયદા પર બોલવાની હિંમત કરે, કારણ કે સરકારી દમનના લોખંડી પંજાને ઉંમરનો કોઇ બાધ નહોતો! કેટલાક કાર્યક્રમોનું અમલીરણ અતિઉત્સાહથી કરવામાં આવ્યું, જેમકે નસબંધી, તો સંજય ગાંધીના અતિ ઉત્સાહ અને સફળતાના આંકડા મોટા કરી દેખાડવાની લાહ્યમાં અનેક કુંવારા યુવાનોની પણ ફરજિયાત નસબંધી કરી નાખવામાં આવી હતી! ટૂંક માં આખા દેશના નાગરિકો સાવ સાચા અર્થમાં અને વાજબી કારણોને લીધે ભયભીતહતા.

જ્યોર્જ ફર્નાન્ડિઝ
             આખા દેશમાં ઊઠેલા જબ્બર વિરોધના જુવાળને કારણે ૨૧ માર્ચ ૧૯૭૭ના રોજ ઇમર્જન્સી ઉઠાવી અને ચૂંટણી જાહેર કરવાની સરકારને ફરજ પડી અને સ્વાભાવિક રીતે જ કોંગ્રેસની સરકારે એ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો, શ્રીમતી ગાંધી પોતાની રાયબરેલી સીટ પણ ના બચાવી શક્યાં, કોંગ્રેસની હાર કેવી કપરી હતી અને લોકોનો સરકારના દમન સામેનો રોષ કેવો હતો એનો અંદાજ એ વાત પરથી આવે છે કે ઉત્તરપ્રદેશ, હરિયાણા, દિલ્હી, પંજાબ અને બિહારમાં કોંગ્રેસને એક પણ સીટ મળેલી નહીં! દેશની આઝાદી પછી પહેલીવાર કેન્દ્રમાં બિનકોંગ્રેસી સરકાર સત્તામાં આવી અને મોરારજી દેસાઇ વડાપ્રધાન બન્યા. કટોકટી દરમિયાન થયેલ અતિરેકની તપાસ માટે જસ્ટિસ શાહના ના વડપણ હેઠળ તપાસપંચની નિમણૂક કરવામાં આવી અને ૧૯ મહિનાના લાંબા સમયગાળા પછી ખુલ્લી હવામાં શ્વાસ લેવાનો આનંદ માણતાં અખબારો ઇમર્જન્સી દરમિયાન આખા દેશમાં ઠેકઠેકાણે થયેલા અત્યાચારોની કાળજાં કંપાવતી કહાનીઓથી ઉભરાવા લાગ્યાં. માત્ર ઈન્દીરા ગાંધીના વિરોધ સિવાય, કોઇ પણ પ્રકારની વૈચારીક સમાનતા નહીં ધરાવતા અને કહીં કી ઈંટ કહીંકા રોડા, ભાનુમતીને કુનબા જોડાજેવી જનતા પાર્ટીની સરકારને ચરણસિંગ જેવા સત્તા લાલચુની મદદથી ઈન્દિરા ગાંધીએ તોડી અને દેશની જનતા અને જયપ્રકાશ નારાયણનું સપનું તૂટી ગયું!

             તો આ હતી કહાની એ કટોકટીની, એ કટોકટીની જે શબ્દ કોંગ્રેસને આજે ગાળ જેવો લાગે છે એ ઘોષિત કટોકટીની, પણ આજે દેશમાં ઇમર્જન્સી છે? કે લાગવાની શક્યતા છે? પહેલી વાત તો એ કે ૧૯૭૫ની એ કટોકટીના આજે પણ જે રીતે ક્યારેક આફટર શોક આવી જાય છે એ જોતાં કૉંગ્રેસ તો શું પણ કોઇ પણ સત્તાધારી પક્ષ હવે એ રીતે છડેચોક ઇમર્જન્સી લાદવાની હિંમત કરે નહીં, હા, ધીમે ધીમે પ્રશાસનનો દુરુપયોગ, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને  સોશિઅલ મીડિયા પર આડકતરી રીતે ગાળિયો નાખીને અઘોષિત કટોકટી જેવી પરિસ્થિતિ ચોક્કસ ઊભી કરી શકે છે. અત્યારે એ પરિસ્થિતિ  દેખાઈ રહી હોવાનું માનવા પાછળ ઘણાં કારણો છે. સૌથી પહેલાં આજ ના સત્તાધારી પક્ષના નેતાના બયાનો જુઓ અને એને ૨૬મી જૂન ૧૯૭૫ના રોજ આકાશવાણી પરથી કટોકટીની જાહેરાત કરતી વખતે શ્રીમતી ગાંધી દ્વારા બોલાયેલા શબ્દો સાથે સરખાવો,
             “સરકાર પ્રતિ ષડ્યંત્ર રચાયું છે..” “નિર્વાચિત સરકારને કામ કરવા દેવામાં નથી આવતું..” “આપણી એકતા તોડવા માટે રાષ્ટ્રવિરોધી તત્વો કામ કરી રહ્યાં છે..” “હું નિર્દોષ છું, મારા પર જુઠ્ઠા આક્ષેપો લગાવવામાં આવ્યા છે..” “એ લોકો દેશની અર્થવ્યવસ્થા, શાંતિ અને સુરક્ષા માટે ખતરો છે..ત્યારની એ ભાષા અને અત્યારનાં નિવેદનો, સરખાવી જુઓ, શું લાગે છે?
             પ્રશાસનનો કેવી રીતે દુરુપયોગ થાય છે એતો અરધી રાત્રે રામલીલા મેદાનમાં ઊંઘતા લોકો પર અમાનુષી હુમલો થયો ત્યારે લોકોએ જોઈ જ લીધેલું પણ હજુ હમણાં જ બે દિવસ પહેલાં વડાપ્રધાનના નિવાસસ્થાન ને ઘેરાવ કરવાની જાહેરાત થઈ ત્યારે દિલ્હીનાં બધાં મેટ્રો સ્ટેશનને બંધ રાખવાનો અને આખા દિલ્હીની જનતાને બાનમાં લેવાનો આ તઘલખી તુક્કો પણ એ પ્રકારની માનસિકતાનું જ પરિણામ હતો. તમામ સરકારી એજન્સીઓને રામદેવ, કેજરીવાલ કે કિરણ બેદીની પાછળ લગાડી દેવી એ શું દર્શાવે છે? વાત પ્રેસ સેન્સરશીપની તો એની તો હવે જરૂર જ ક્યાં રહી છે? મોટાભાગનું પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા અત્યારે લક્ષ્મીજીના ચમત્કારથી અભિભૂત થઈ ને મંજીરાવાદનમાં મસ્ત છે! અસમના રમખાણોની વાત હોય, જે ઈઝરાયેલે ખતરનાક આતંકવાદી સંગઠન હિજબુલ્લાનો સાથી ગણાવ્યો છે એવો કોંગ્રેસનો સાંસદ ઓવૈશી હોય કે પછી રાજીવ શુક્લા સંસદીય પરંપરામાં જે સર્વોપરી ગણાય એવા અધ્યક્ષને સંસદને એડજર્ન કરવાની સલાહ આપતા કૅમેરાની સામે ઝડપાય તો પણ એવી મોટી ઘટનાની ચર્ચા કરવામાં લાજ આવે ટીમ અને અન્ના મેં ફૂટ કે પછી રામદેવ કે મંચ પર ક્યૂં નહીં ગયે અન્ના જેવા વિષયો પર કલાકો સુધી પિષ્ટપેષણ ચાલે! ઇલેક્ટ્રોનિક મીડિયાએ સમજદાર નાગરિકોનો વિશ્વાસ ખોઇ દીધો છે એ હકીકત છે. બાકી બચ્યું સોશિઅલ મીડિયા, તો હવે એને સકંજામાં લેવાનું ચાલુ થઈ ગયું છે. ફેસબુક અને ટ્વીટર પર ઘણાબધાં એકાઉન્ટ બ્લૉક થઈ ગયાં છે અને ઘણાં હીટ લિસ્ટમાં છે. આ બધું જોઇને ઈલેક્ટ્રોનિક મીડિયા તા થૈયા કરે છે, કારણ કે  સોશિઅલ મીડિયાને કારણે એનું વસ્ત્રાહરણ થાય છે એ અભિષેક મનુ સિંઘવી વાળા કિસ્સાથી સાબિત થઈ ગયું છે.  સોશિઅલ મીડિયાની તાકાત શું છે એ ઈજીપ્ત અને સિરીયાનાં આંદોલનોમાં તો જોવાઈ જ ગયું છે તથા ગયા વર્ષે અન્નાનાં આંદોલન વખતે પણ સરકારને ખ્યાલ આવી જ ગયો છે.

             એ પણ લોઢામાં લીટી સમાન હકીકત છે કે સરકાર ભલે ગમે એટલા ધમપછાડા કરેસોશિઅલ મીડિયા પર સંપૂર્ણ અંકુશ મેળવવો કોઈ રીતે શક્ય નથી, સામ,દામ,દંડ કે ભેદ થી પણ નહીં!

ગંગાજળ
ઇમર્જન્સી પછી, જનતા સરકાર વખતે શ્રીમતી ગાંધીની ધરપકડ થઈ ત્યારે કોંગ્રેસના એક કાર્યકરે એમને છોડાવવાની માગણી સાથે એક પ્લેન હાઈજેક કરેલું! પછીથી કોંગ્રેસની સરકાર આવી ત્યારે એ ભાઇને નવાજીશ તરીકે લોકસભા કે પછી વિધાનસભાની ખુરશી આપવામાં આવેલી!

Wednesday, August 22, 2012

હલકે લોગ, હલકી પસંદ...!


ગળથૂથી

“અમેરિકામાં સેક્સ મ્યુઝિયમ જોઈ આંખો મીંચી દેનારા ભારતીયો ગુટકાના નામથી જાણે પ્રભુદર્શનનો આત્મસાક્ષાત્કાર થયો હોય એમ ઠેકડા મારે છે!” –જય વસાવડા.


તેજતર્રાર કલમના માલિક અને યાર-બાદશાહ વાચકોના દિલના શહેનશાહ એવા ચંદ્રકાંત બક્ષીએ એક જગ્યાએ દારૂબંધીની વ્યાખ્યા પ્રમાણે આપી છે, “જે વ્યવસ્થામાં શરાબ બોટલના બદલે પીપમાં મળે એને દારૂબંધી કહેવામાં આવે છે.” કહેવાની જરૂર ખરી કે ગુજરાતમાં જે રીતની દારૂબંધી અમલમાં છે જોઈનેજ બક્ષીબાબુને આવી અવળચંડી વ્યાખ્યા સૂઝી હોય! બક્ષીબાબુએ પોતાના જીવનનો અધિકાંશ સમય મુંબઈમાં વિતાવ્યો છે, ગુજરાતની દારૂબંધીને કદાચ એટલી નજીકથી નથી જોઈ અને કદાચ લખતી વખતે કદાચ એમને પણ એવો ભ્રમ હશે કે વ્યાખ્યામાં અતિશયોક્તિ અલંકારનો પ્રયોગ કરવામાં આવ્યો છે પરંતુ ગુજરાતનાં અંતરિયાળ ગામડાંમાં જેમણે શ્વાસ લીધો છે ખાતરીપૂર્વક કહી શકે કે બક્ષીબાબુએ કરેલી દારૂબંધીની વ્યાખ્યામાં બિલકુલ અતિશયોક્તિ નથી! મેં પોતે નાનપણમાં મારા ગામમાં એવી વાતો સાંભળેલી છે જેમાં સ્થાનિક સ્વરાજ્યની કોઇ સંસ્થાની ચૂંટણી હોય કે પછી કોઇ સહકારી સંસ્થાના ડાયરેક્ટરની ચૂંટણી હોય ત્યારે ઉમેદવાર તરફથી ગામલોકોના લાભાર્થે ગામના ચોકમાં મદિરાનાં પીપ અથવા કેરબા મૂકી દેવામાં આવ્યા હોય અને ગામના રસિકજનો ઘડા ભરીને લઈ જતા હોય! ગામના પાદરમાં આવેલ ઝાડી-ઝાંખરામાં અને દરિયાકાંઠે આવેલાં સરૂ અને ગાંડા બાવળના ઉપવનોમાં બેખોફ રીતે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ તો મેં પોતે સગ્ગી આંખે જોયેલી છે, અરે ગામના લોકો, જો પોતાના ઘરની જરૂરીયાત પૂરતોમાલપોતાના ઘરના ચૂલા પર બનાવી લેતા હોય એવું પણ જોયેલું છે. ગામના ઝાંપે, સરાજાહેર પ્યાસીજનો પ્લાસટીકની કોથળીમાંથી ગ્લાસમાં ભરીને ગળામાં ઠલવતા હોય એવાં દ્રશ્યો ગુજરાત સિવાય ક્યાં જોયાં નથી અને આખા દેશમાં માત્ર એકજ રાજ્ય ગુજરાતમાં દારૂબંધી છે અને પણ ગાંધીજીના નામે!

ક્ષમા કરશો, અહીં દારૂબંધીનો વિરોધ કરવાનો કે શરાબપાનની તરફેણ કરવાનો બિલકુલ ઈરાદો નથી, બધી ચર્ચાનો હેતુ માત્ર એટલો છે કે જો વ્યવસ્થાતંત્રમાં કાયદાના અમલીકરણની ઈચ્છાશક્તિ હોય તો ખરેખર લોકોના કલ્યાણ માટે બનાવેલા કોઇપણ કાયદાની કેવી વલે થાય છે બતાવવાનો, અને પણ અત્યારે એટલા માટે કે મોટાભાગના લોકોને વાજબી રીતે શંકા છે કે પંદરમી ઓગષ્ટે, જુનાગઢમાં ધ્વજવંદન વખતે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં ગુટખાબંધીની જાહેરાત કરી છે એની હાલત પણ ગુજરાતની દારૂબંધી જેવીજ થવાની છે. આવી શંકા કરવા માટેનાં સજ્જડ કારણો પણ પહેલેથીજ હાજર છે, ૧૯૯૭થી ગુજરાત રાજ્યમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા એક જાહેરનામું બહાર પાડીને શૈક્ષણીક સંસ્થાઓની આસપાસ ૧૦૦ મીટરના વિસ્તારમાં તંબાકુના ઉત્પાદનો વેચવાની કાયદેસર રીતે મનાઈ કરવામાં આવેલી છે પણ એનું અમલીકરણ કેવું  થાય છે અહીં લખવાનો કોઇ મતલબ નથી, કોઇ પણ શાળાને અડીને આવેલ પાનની દુકાને જઈને ગુટખા માગજો એટલે વાસ્તવિકતા સમજાઈ જશે. એજ રીતે ૧૮ વર્ષથી નીચેની ઉંમરના કિશોરોને તંબાકુની કોઇ પણ પ્રોડક્ટ વેચવાની મનાઈ ફરમાવવામાં આવેલી છે, દરેક ગલ્લે આવી ચેતવણી મોટા અક્ષરે લખેલી જોવા મળે છે પણ મોટાભાગે ચેતવણી પાટીયામાંજ રહે છે!

કાયદાના અમલીકરણ પાછળની નિયત પર શંકા કરવાનું બીજું પણ એક સજ્જડ કારણ છે. એક સર્વે મુજબ, જેટલાં પ્રકારનાં કેન્સર થાય છે એમાંથી લગભગ સીત્તેર ટકા માટે તંબાકુ જવાબદાર છે, આમાં સિગારેટ, બીડી, હોકલી, ખૈની બધું આવી જાય છે. અને એમાંયે ગુટખાતો માત્ર ખાનારને જ શિકાર બનાવે છે જ્યારે બીડી અને સિગારેટના પેસીવ સ્મોકિંગનો ભોગ બનતા આજુબાજુના લોકો માટે પણ ઘાતક છે તો પછી માત્ર ગુટખા શા માટે? ખરેખર લોકોના આરોગ્યની ચિંતા હોય તો ભસ્માસૂર જેમાંથી પેદા થાય છે તમાકુના ઉત્પાદન પર પ્રતિબંધ શા માટે નહીં? આજે ગુજરાતમાં લગભગ ૫૦૦૦૦ હેક્ટરમાં તમાકુનું વાવેતર કરવામાં આવે છે ત્યારે કેટલાક લોકો એવી દલીલ કરે છે કે જો તમાકુના વાવેતર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે તો ગુજરાતના હજ્જારો ખેડૂતો અને ખેતમજૂરો બે રોજગાર થઈ જાય, પણ અહીં સિફતપૂર્વક વાત ભૂલી જવામાં આવે છે કે એજ જમીનમાં તમાકુના બદલે બીજો પાક લઈ શકાય, કદાચ ખેડૂતોએ સમાજ માટે થઈને પોતાના નફામાં નૂકશાન સહન કરવું પડે એટલું !

તમાકુનું ઉત્પાદન કરતા ખેડૂતો સમાજ પ્રત્યેની જવાબદારી સમજીને સમજદારી બતાવે વાત તો પછીની છે પણ સરકાર તમાકુના ઉત્પાદનો પર મળતી ૨૫ ટકા જેવી તગડી વેટની આવકની લાલચ છોડી શકે એમ છે? આપણા દેશમાં સિગારેટ કંપનીઓની તાકતવર લોબીની પકડ કેન્દ્ર સરકાર પર કેટલી છે અને જો સરકાર ધારે તો શું કરી શકે સમજવા માટે ઓસ્ટ્રેલિયાનો દાખલો લેવા જેવો છે. આપણે ત્યાં સિગારેટના બોક્સ પર નીચે એકાદ જગ્યાએ ભાષામાં કાનૂની ચેતવની છાપવામાં આવે છે જે ભાષા દેશની મોટા ભાગની જનતાને વાંચતાં આવડતી નથી, જ્યારે ઓસ્ટ્રેલિયામાં સિગારેટના ખોખા ઉપર સૌથી પહેલાં ઉપરના ૨૫ ટકા જેટલા ભાગમાં મોટા મોટા અક્ષરમાં ચેતવણી લખવામાં આવે છે અને પણ અલગ અલગ બોક્સ પર અલગ અલગ, જેમકે, ’ધૂમ્રપાનથી અંધાપો આવે છે’, ’ધૂમ્રપાનથી ફેફસાનું કેન્સર થાય છે’, ’બાળકોના શ્વાસમાં તમારો ધુમાડો જવા ના દોવગેરે.. પછી એની નીચે બોક્સના ૫૦ ટકા જેટલા ભાગમાં, ઉપર ચેતવણીમાં જે બાબતનો ઉલ્લેખ હોય એનું ચિત્ર અને સાવ છેલ્લે સૌથી નીચે અને સાવા નાના અક્ષરોમાં બ્રાન્ડનું નામ! ઉપરાંત ખોખાની સાઈડ પર ઘાતકતાની ચેતવણી તો ખરીજ. સરકાર જો ધારે તો શું કરી શકે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

ગુજરાતના એક મોટા અખબારે સમાજપ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સમજીને ગુટકા વિરૂદ્ધ ઝુંબેશ ચલાવી, સરકાર પર દબાણ લાવીને નિર્ણય તો લેવડાવ્યો પણ આટલેથી અટકી જવાથી કામ નહીં ચાલે, પ્રતિબંધનું અમલીકરણ સજ્જડ રીતે થાય માટે પણ અખબારોએ અને નાગરિકોએ જાગૃત રહેવું પડશે. જ્યારે સમાજના હિતનું કામ થતું હોય એટલા પૂરતું અખબારો પોતાની અંદરો અંદરની હૂંસાતૂંસી ભૂલીને એક મંચ પર આવી જાય અને સાથે સાથે લોક જાગૃતિનું કામ પણ સતત ચાલુ રાખે જરૂરી છે. બાકી, છટકબારીઓ શોધવાનું ચાલુ થઈ ગયું છે, મહારાષ્ટ્રની જેમ પાનમસાલા અને તમાકુ અલગ અલગ પેકિંગમાં ભરીને ને સાથે વેચવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે.

દુનિયામાં કદાચ માણસ નામનું પ્રાણી એક એવું અવળચંડું પ્રાણી છે કે એને જે કરવાની ના પાડવામાં આવે ખાસ કરે છે, જે દિશામાં જવાની ના પાડવામાં આવે બાજુ ધરાર જાય છે. શું ખવાય ને શું ખવાય એની સમજણ કદાચ આપણે જેને બુદ્ધિવગરનાં માની છીએ પ્રાણીઓમાં વધારે છે, નહિતર જ્યાંથી કોઇ પાછું નથી આવી શકતું એટલે ઊંચે પહોંચાડી દેતો ઊંચે લોગ ઊંચી પસંદ વાળો ચાર હજાર રૂપીયે કિલો કચરો ખાવાને બદલે ૬૦૦ રૂપીયે કિલોના કાજુબદામ ના ખાતો હોત!

ગંગાજળ

એક પોલીસ અધિકારીના ઘરનું દ્રશ્ય:
કહું છું, વોશિંગ મશીન લઈ લઈએ તો કેવું?”
૧૧મી સપ્ટેમ્બર પછી..”
ટીવી પણ જૂનું થઈ ગયું છે, હવે એલ સી ડી લઈ લઈએ..”
બધું ૧૧મી સપ્ટેમ્બર પછી..”
        “
કેમ ૧૧મી સપ્ટેમ્બથી સરકાર પગાર વધારી દેવાની છે?
        “
એમ સમજ ને!”