Monday, March 05, 2012

જો જો, બારમું ક્યાંક ’બારમું’ ના થઈ જાય!

ગળથૂથી:
"ક્યાં જઇ રહ્યા છો? આત્મહત્યા કરવા?
ના રે ના, તમે તો જઇ રહ્યા છો તમારા પર મુકેલા ભરોસાની હત્યા કરવા.

તમે જેને અંત માનો છો ને? એ તો આરંભ છે તમારા પરિવાર માટે રીબાઇ રીબાઇને મરવાનો."
-કૃષ્ણ દવે




“અચ્છા, પહેલું પેપર શેનું છે?”
ગુજરાતીનું
કોઈ દિવસ સ્કોર ના થાય..ગમે એમ કરીને એ લોકો કાપી જ નાખે! પણ પરીક્ષામાં ટેન્શન બિલકુલ નહીં રાખવાનું હોં!”
સવારે ઊઠી, ભગવાન ને યાદ કરવાના ને પેપર હાથમાં આવે એટલે પણ પેલ્લાંજ ભગવાનનું નામ લેવાનું..ચિંતા બિલકુલ નહીં કરવાની હોં!”
અરે, ચણાના લોટવાળું? ના ખવાય, પરીક્ષાના દિવસોમાં બિલકુલ ના ખવાય... તબિયત બગડે આ દિવસોમાં ખાવાપીવામાં બહુજ ધ્યાન રાખવાનું! કોઈ ટેન્શન વગર પરીક્ષા આપવાની...”
એક કલાક પહેલાં સેન્ટર પર પહોંચી જવાનું, આજકાલ ટ્રાફીકનો ભરોસો નહીં, રસ્તામાં શું થાય એ નક્કી નહીં..પરીક્ષા ના દિવસોમાં ચિંતા બિલકુલ ના કરવી!”
આ જમાનો જ કોમ્પીટીશન નો છે, શું થાય, સારા માર્ક તો આવવાજ જોઈએ... સાવ હળવાશથી મન ઉપર કોઈ બોજ રાખ્યા વગર પરીક્ષા આપવી હોં..!”
...???...

આજથી ધોરણ બાર અને એસ એસ સી ની પરીક્ષા શરૂ થાય છે એના સંદર્ભે, ગઈ કાલે અમે એક ઓળખીતાના ચિરંજીવીને શુભેચ્છા પાઠવવા ગયા હતા, ત્યાં બોલાયેલા આ સંવાદ છે! આ પરીક્ષાના સંદર્ભે એક જુનો કિસ્સો પણ યાદ આવે છે, આજથી સત્તરેક વર્ષ પહેલાં, રાજકોટમાં મારાં શરૂઆતનાં વર્ષો હતાં ત્યારની આ વાત છે. મારી સાથે મારા એક પિતરાઇ કાકાનો દિકરો પણ રહેતો અને કોલેજમાં ભણતો. ગામડે ઘરનું વાતાવરણ અને ઘડતરજ એવી રીતે થયેલું કે અત્યંત અંધશ્રધ્ધાળુ. કોલેજ જતાં રસ્તામાં એક હનુમાન મંદિર આવે ત્યાં પગે લાગીનેજ જવાનું, જો એ એટલું અડચણરૂપ નહોતું પણ ખરી કઠણાઈ શરૂ થાય પરીક્ષા નજીક આવે ત્યારે! ઘરેથી નીકળીને કોલેજ સુધી જતી વખતે હાથમાં અગરબત્તીનો એક ઝૂડો લઈને નીકળવાનું અને રસ્તામાં જેટલા નાના-મોટાં દેવદેવાળાં, ખાંભી, પાળિયા દેખાય એટલી જગ્યાએ અગરબતી કરી, પગે લાગીને પછીજ આગળ વધવાનું! અને પરીક્ષા ચાલુ થાય ત્યારે થાનકની સંખ્યા અને થાનકદીઠ અગરબત્તીની સંખ્યા વધતીજ જાય! આમ પરીક્ષાના દિવસોમાં જ્યારે એક એક મિનીટ કિમતી હોય ત્યારે છેલ્લી ઘડીના રીવીઝનના ભોગે, રોજ લગભગ બે કલાક જેટલું વહેલું નીકળવાનું! ને જો કોક દિવસ એકાદ જગ્યાએ અગરબત્તી કરવાનું ચૂકાઈ ગયું ને એ પેપર હાથમાં આવે ત્યારે જ યાદ આવ્યું તો થઈ રહ્યું એ પેપરનું! ભગવાન પણ બિચારો ફાયર ફાયટર વાળાની જેમ ક્યાં ક્યાં પહોંચે!

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ને એમાંયે છેલ્લાં બેત્રણ વર્ષોમાં, વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું પ્રમાણ જે ભયજનક રીતે વધી ગયેલું જોવા મળે છે એ ખરેખર ચિંતા ઉપજાવે એવી સ્થિતી છે. ભણતરના બોજ નીચે કોકના ને કોકના લાડકવાયાંનો શ્વાસ ગુંગળાઈ ગયો હોય એવા સમાચાર વગરનું છાપું એક અઠવાડિયાથી વધારે ખાલી નથી જતું, ત્યારે એક સવાલ થાય છે કે માણસને જીવનમાં સૌથી વધારે ભય શેનો લાગે છે? ક્યો શબ્દ છે જેને એટલો બધો અણગમતો છે કે માણસ એને ઉચ્ચારવાનું પણ ટાળે છે અને હમેશાં એનાથી દૂર ભાગવાની કોશીશમાં રહે છે? કોઇ પણ જાતના વિવાદ વિના, જવાબ એકજ છે “મૃત્યુ!” એમ કહેવાય છે કે જેને મૃત્યુનો ભય નથી એને કોઈ જ જાતનો ભય નથી, તો પછી અહીં વિચારતા કરી મૂકે એવી બાબત છે કે આજે એ માસૂમોને ભણતર શબ્દ આટલો બધો ભયાનક અને ડરામણો લાગવા માંડ્યો કે જેના કરતાં મૃત્યનો રસ્તો વધારે સહેલો લાગે! આવી પરિસ્થિતી ઊભી કરવા માટે જવાબદાર કોણ?

સવાલ એક છે પણ એના જવાબ અનેક છે અને ઓબ્જેક્ટીવની જેમ કોઇ એકજ જવાબ સાચો નથી!

મૂળીયાં બહુ ઊંડાં છે, છેક ૧૮૫૫ સુધી જવું પડે એમ છે. ભારતની વસ્તી લગભગ ત્યારે ૧૮ કરોડની આસપાસ અને આ ૧૮ કરોડની ઉપર શાસન કરનાર અંગ્રેજ પ્રજાની સંખ્યાં ૧૫ હજાર! હવે આ પંદર હજાર લોકોએ આ અઢાર કરોડ લોકોને વશમાં રાખવા કઈ રીતે? એના માટે લોર્ડ મૅકોલે નામના એક વિચક્ષણ અંગ્રેજે એક એવી શિક્ષણ પધ્ધતિ તૈયાર કરી લાગુ કરી જે માત્ર કારકૂનો અને ગુલામો પેદા કરવાનું કારખાનું કહી શકાય! પણ અફસોસની વાત એ છે કે આઝાદીના ૬૫ વર્ષ પછીના આપણા શાસકોને પણ (પોતાના નીજી સ્વાર્થના લીધે?), એ મેકોલેની પધ્ધતીમાં ખાસ ફેરફારની જરૂર નથી લાગી! શિક્ષણ, જેનો મૂળ હેતુ છે શીખવાનો, નવું જાણવાનો, પણ આજે શું થયું છે? પરીક્ષાલક્ષી શિક્ષણ પદ્ધતિને લીધે, જ્ઞાન મેળવવાનો મૂળભૂત હેતુ બાજુ પર રહી ગયો છે અને પરીક્ષાપાસ કરવા માટે, સારા માર્કસ લાવવા માટે અને બોર્ડમાં નંબર લાવવા માટે ભણવાનું છે, નહીં કે શીખવા માટે! માણસની આવડતને હોશિયારી સાથે કોઈજ લેવાદેવા નહીં પણ હોશીયારીનો માપદંડ એટલે એક લંબચોરસ કાગળ પર છાપેલા નિર્જીવ આંકડા!

આજે શિક્ષણ એ જ્ઞાન આપવાના ઉમદા વ્યવસાયને બદલે પૈસા કમાવા માટેનો ધંધો થઈ ગયો છે. ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે, અને દરેક ખાનગી શાળાને તગડી ફીમાંથી કમાણી કરવી છે એના માટે પોતાના ક્લાસરૂમ ભરવા છે, ક્લાસરૂમ ભરાઈ જાય એના માટે બીજા વિદ્યાર્થીઓને પોતાની શાળામાં ખેંચવા માટે, પોતાની શાળાના વિદ્યાર્થીઓના ફોટા છાપામાં છાપવા છે, છાપાંમાં ફોટા છપાય એના માટે બોર્ડમાં નંબર લાવવા છે અને પોતાના વિદ્યાર્થીનો બોર્ડમાં નંબર આવે એટલા માટે એની પાસે તૂટી જાય એટલી મહેનત કરાવવી છે! સરકારી કર્મચારીએ પોતાના હક્કની રજા માટે લડવું પડે એ સમજ્યા પણ આજે તો આ શિક્ષણના ખાનગીકરણને પાપે વિદ્યાર્થીઓ માટે આ નોબત આવીને ઊભી છે!

અને આ આખા વિષચક્રમાં જેની જવાબદારી સૌથી વધારે આવે છે એ છે વાલીઓ. સાલું છોકરૂં માંડ હજીતો ભાંખોડિયા ભરીને ચાલતું થયું છે, હજુ તો એને છી અને પી ની પણ ભાન નથી, હજુ માંડ ધાવણ છૂટ્યું છે, ત્યાં બે-અઢી વરસની ઉંમરે નાખી દો એને આ કારખાનામાં! (બાળ મજૂરી પર પ્રતિબંધ છે એમ શિશુ મજૂરી બાબત પણ કાયદો લાવવાની જરૂર છે એમ નથી લાગતું?) ને પાછાં નામ પણ કેવાં રૂપાળાં! પ્લે હાઉસ ને પછી નર્સરી, જુ.કેજી. ને સિ.કેજી.! અને કેજી આવતાં આવતાં તો પાછાં ટ્યુશન શરૂ થઈ ગયાં હોય! ગીજુભાઇ બધેકા કહે છે કે બાળકને સાત વર્ષની ઉંમર સુધી બચપણ માણવા દેવું જોઇએ... હેલ વીથ ગીજુભાઇ! એને શું ખબર પડે? એ જમાનો અને આજનો જમાનો અલગ છે...(અથવા, ગીજુભાઇ? એ વળી કોણ?) આજે સ્પર્ધાનો જમાનો છે, પાછળ રહી જવાય..(આમીરખાને સાચુંજ કહ્યું છે, ’તારે જમીન પર માં કે “રેસ જ કરાવવી હોય તો છોકરાં પેદા કરવાને બદલે ઘોડાનું ફાર્મ કરતા હોય તો?”) આમ ચોથું પાંચમું પાર કરે ત્યાં સુધીમાં તો એટલો બધો બોજ વધી ગયો હોય કે સવારે સાડા છ વાગ્યાથી દિનચર્યા શરૂ થતી હોય અને સાડા સાતે તો પહેલું ટ્યુશન હોય. સાંજે છ વાગ્યે છૂટ્યા પછી કાં તો સંગીત કે પછી ચિત્ર કે એવા એકાદ ક્લાસમાં જવાનું હોય કેમ કે બાજુવાળા મનિષભાઇની મુન્ના કરતાં અમારો પિન્ટુ કોઈપણ બાબતમાં પાછળ રહી જાય એ કેમ ચાલે! અને એસ એસ સી કે બારમુ આવતાં સુધીમાં તો એટલો મોટો હાઉ ઊભો કરવામામ આવે કે હજુ તો એસ એસ સી માં આવવાને છ મહિનાની વાર હોય ત્યાંથી સમગ્ર કુટુંબ પિન્ટુ કેન્દ્રી થઈ જાય,
આ વર્ષે અમારાથી ક્યાંય ના નીકળાય, પિન્ટુ એસ એસ સી માં છે.”
લગ્નમાં નહીં આવી શકાય, મુન્નો બારમામાં છે
આ વર્ષે ફરવા નહીં જવાય, બારમું ખરૂં ને!”
"અમે તો કેબલનું કનેક્શન જ કઢાવી નાખ્યું છે, અમે ટીવી જોઈએ તો પિન્કીને પણ મન થાય ને!"
આ એક વર્ષ હેમખેમ નીકળી જાય્ ને આ બારમામાં સારા ટકા આવી જાય એટલે ગંગ નાહ્યા!’
આમ સતત એક આખું વાતાવરણ એક વ્યક્તિ કેન્દ્રી બનાવી એના પર એટલો બધો અપેક્ષાઓનો બોજ લાદી દેવામાં આવે કે એ બોજ તળે દબાઇને ગુંગળાઈને એનું બારમું ના થઈ જાય તોજ નવાઈ!
પેલાને બિચારાને એમજ થઈ જાય કે જો સારા ટકા ના આવ્યા તો હું શું મોઢું બતાવીશ!

દર વખતે પરીક્ષા નજીક આવે એટલે વિદ્યાર્થીઓએ તણાવથી મુક્ત રહેવા શું કરવું અને શું ના કરવું, શું ખાવું ને શું પીવું, કેટલા વાગ્યે ઉઠવું ને કેવી રીતે તૈયારી કરવી એની સૂફિયાણી સલાહ આપતા લેખોનો રાફડો ફાટે છે પણ ખરેખર આ સમશ્યાનું મૂળ જ્યાં છે એ પ્રશાસન, શૈક્ષણીક સંસ્થાઓ અને વાલીઓ ના સ્તરે સારવારની સાચી જરૂર છે એ કોઈને દેખાતું નથી! આજની શિક્ષણની પદ્ધતિમાં ધરમૂળથી ફેરફાર કરી એને પરીક્ષાલક્ષી માંથી જ્ઞાનલક્ષી બનાવવાની દિશામાં પ્રશાસન સત્વરે વિચારે એ સૌથી પહેલી જરૂરીયાત છે. બીજી જરૂરીયાત છે શિક્ષણનાં હાટડાં માંડીને બેઠેલા ઉપર લગામ કસવાની. પણ આ બન્ને બાબતો તો જ શક્ય બનશે જો વાલીઓની આંખ ઉઘડશે અને એ આ બન્નેનો કાન પકડવા તૈયાર થશે.


બાકી તો હમેશની જેમ છાપાંમાં કો’કે પંખા નીચે લટક્યાના ને કો’કે કંઇક ”પીધુંનાકે પછી નદી તળાવના સમાચાર વાંચવાના આપણા લમણે લખેલા જ છે!



ગંગાજળ:
આશરે ચાલીસેક વરસ પહેલાંની એક સાવ સાચી ઘટના.
એક સહકારી સંસ્થામાં કર્મચારીઓની ભરતી ચાલતી હતી અને સિલેક્સન કમીટીમાં મુખ્ય હતા લગભગ અંગૂઠાછાપ કહી શકાય એવા એક સ્થાનિક આગેવાન.
"શું ભણ્યા ભાઇ?"

"બાપા, હું ગ્રેજ્યુએટ થયો છું."
"ઈ નો હાલે...મેટ્રીક પાસ કર્યું કે નહીં?"

27 comments:

  1. ભણતર પરીક્ષાલક્ષી કરીને વિદ્યાર્થીઓને વધારે મુશ્કેલી અને ગેરમાર્ગે દોરવાનો એક પ્રયાસ થઈ રહ્યો છે.
    ત્યારે આપની આ સ્પષ્ટ સચોટ વાત કોણ માનશે કે,

    શૈક્ષણીક સંસ્થાઓ અને વાલીઓ ના સ્તરે સાવવારની સાચી જરૂર છે એ કોઈને દેખાતું નથી! આજની શિક્ષણની પદ્ધતિમાં ધરમૂળથી ફેરફાર કરી એને પરીક્ષાલક્ષી માંથી જ્ઞાનલક્ષી બનાવવાની દિશામાં પ્રશાસન સત્વરે વિચારે એ સૌથી પહેલી જરૂરીયાત છે.

    અને સાચું કહો તો આજના નેતાઓને,કહેવા (અ)શિક્ષણ મંત્રીને શિક્ષાની ક્યાં પડી છે?

    હું તો એટલું જ કહીશ કે

    સબકો સન્મતિ દે ભગવાન..
    વિદ્યાર્થિકો જ્ઞાન નહી માર્ક દે.. સબસે જ્યાદા માર્ક દે..

    ReplyDelete
  2. સમય ની જરૂરિયાત મુજબ નો આ લેખ બાળકો - વિધ્યાર્થી મિત્રો તેમજ મતાપિતા નો પરિક્ષા નો હાઉ કંઈક અંશે દૂર કરશે...મને યાદ છે શાળા મા સારુ પરિણામ મેળવતા વિધ્યાર્થી બોર્ડ ની પરિક્ષા ને હાઉ ને લીધે ફેલ થતા જોયા છે યા તો ઓછા ગુણ મેળ્વ્યા છે..બોર્ડ ના પરિણામ ના ગોટાળા ને લીધે નાપાસ થયેલ વિધ્યાર્થી ઓ પુન: ચકાસણી માં ઊત્તીર્ણ જાહેર થયા હતા પણ એમાના કેટલાયે નાસીપાસ થઈ ને એમની જિંદગી ની અને માતા પિતા ના સપના ની દરકાર કર્યા વિના જીવન નો અંત આણ્યો હતો...મિત્રો જીવન ને પરિણામ લક્ષઈ નહિ પણ માર્ગદર્શી બનાવશો તો જિંદગી તમને જીવવા ના અનેક અવસરો, તકો ને રસ્તા આપશે..જિદગી ની મહતા જાણો , તમારા ભણતર ને ઊજાળો ને જીવન ની ભર્પૂર મોજ મહેનત કરી ને માણો..શુભેચ્છા સહ આપ સર્વ ની સફળતા ઈચ્છતો kamaleshraval@gmail.com

    ReplyDelete
  3. પરિક્ષા પદ્ધતિ હવે બદલવા જેવી છે. આપણાં વિદ્યાર્થીઓ ગોખણીયા વધુ ક્રિયેટિવ ઓછા. અમેરિકા કરતા વધુ કલાકો અભ્યાસના હોય છે. પરિક્ષાનુ ટેન્સન આપણે ત્યાં વધુ હોય છે. અને માબાપની અપેક્ષાઓ પણ વધુ હોય છે. મધ્યમવર્ગના લોકોએ બાળકો પાછળ ટયુશનમાં પુષ્કળ પૈસા ખર્ચ્યા હોય એટલે તેઓ પણ વળતર માંગે.

    ReplyDelete
  4. યસ્સ્સ......૧૦૦% સાચી વાત કહી છે.બાળ મજુરીની જેમ શિશુ મજુરી પર પ્રતિબંધ હોવો જોઈએ...સ્પર્ધાની ભાગદોડ અને દેખાદેખીના યુગમાં ગીજુભાઈ બધેકા પણ હવે ' જુના(?) ' થઇ ગયા છે અને એ બાબત આવનારી પેઢીને ભોગવવી પડશે.રાધર,ભોગવી રહી છે....અપેક્ષાઓના અસહ્ય બોજ તળે દબાયેલો પીન્ટુ - મુન્નો કે લાલો નાસીપાસ - હતાશ થઈને ગલત કદમ ઉઠાવી લે ત્યારે વાંક તેના કરતા તેના માતાપિતાનો વધુ હોય છે.મનોચિકિત્સકોએ પણ વારંવાર આ મામલે ચેતવણીઓ આપી છે પણ,રમણીકભાઈનો છોટુ ૯૦% લાવી શકે તો મારો 'મોટું' કેમ ૯૫% ના લાવી શકે ? એવી બીમાર માનસિકતાથી પીડાતા પિતાઓથી આપણો સમાજ ખદબદી રહ્યો છે.....અને....".ભાર વિનાનું ભણતર (?!?!) " લેતા ભૂલકાઓને પણ કમ્મરેથી બેવડ વળી ગયેલા જોવા માટે આપણે બહુ દુર જવાની જરૂર નથી,સ્કુલવાન તરફ નજર જ નાખવાની છે....

    ReplyDelete
  5. મનીષ દેસાઈMarch 5, 2012 at 1:35 AM

    ખુબ સુંદર વિષયની પસંદગી કરી છે..ખરેખર તો વિદ્યાર્થિ કરતા વાલીઓને કાઉન્સીલીંગની જરૂર છે. પોતાના બાળકની ક્ષમતાને સમજી અને એ ક્ષમતાથી વધુ સારો દેખાવ કરવા માટે પ્રોત્સાહિત કરે તે પ્રકારની વિચારધારા ઉપર ચાલવા માટે.વધુ પડતી અપેક્ષા બાળકને રુંધી નાખે છે અને તેના પરિણામે બાળક પણ અવિચારી પગલા લઈ બેસે છે.
    મને યાદ છે કે મારી દરેક પરીક્ષા વેળાએ મારા માતા-પિતાએ મને એમજ કહ્યુ હતુ કે "ગભરાઈશ નહી જેટલુ આવડે એટલુ લખજે, નાપાસ થાય તો પણ અમને વાંધો નથી"..આજે હું પણ મારી દિકરીને એમજ કહું છું કે તને લાગતું હોય કે તેં મહેનત કરવા માં કચાશ રાખી નથી તો મારે પરિણામ જોવું નથી. અને તને લાગતું હોય કે તું હજુ વધારે મહેનત કરી શકે તેમ હતી તો આવતી વખતે ધ્યાન રાખજે"
    એક વર્ગ માં ૬૫ વિદ્યાર્થી હોય તો બધા પહેલા નંબરે નથી આવી શકતા. ભણતર એ માત્ર જીવન અને દુનિયાદારી સમજવા ના સાપેક્ષ માંજ હોવું જોઈએ. (હા વ્યવસાય લક્ષીની વાત અલગ છે.) બાકી પરિક્ષા કરતા પરિક્ષાના ડર વધારે નુકશાન કરે છે.
    વિમાના વ્યવસાય વખતે મેં એક વાત નોંધી છે, કે ભલભલા ભણેલા ગણેલા માણસો વિમા એજન્ટની પરિક્ષા પાસ કરવી પડશે જાણી ને એજન્ટ બનવાનું માંડી વાળે છે..ખુબ જ હાસ્યાસ્પદ પરિસ્થિતિ જોઇ છે. ડોક્ટર, એન્જિન્યર અને ચર્ટડ એકાઉન્ટન્ટ જેવા ભણેશ્રીઓ જ્યારે વિમા એજન્ટની પરિક્ષામાં બેસતા ડરે...અને એમાંય જો એક વાર નાપાસ થાય(હા થાય...્કારણકે બહુ સબ્જેક્ટીવ બાબતો હોય છે.)ત્યાર બાદ તો ડરની સાથે ઈગો પ્રોબ્લેમ પણ થાય...્પણ આ એક્ઝામ ફોબીયા મેં આ વ્યવસાય માં ખુબ નજીક થી જોયો છે...અને આ જ માબાપો પોતાના બાળકોને પણ જાણે અજાણે આ ફોબિયા ના કેવળ વારસામાં આપે છે પરંતુ જીવનની પરિક્ષાઓ નો સામનો કરવાને બદલે પલાયનવાદના પાથ પણ શીખવાડે છે.

    ReplyDelete
  6. કાઉન્સેલિંગ ની જરૂર કોઈ ને નથી, આ વાલીઓ એક નિષ્ફળ ગયેલી શિક્ષણ પ્રથા ની આડપેદાશ છે, જે પોતે નથી બની શક્યા એ એના સંતાનો ને બનાવવા માંગે છે. અડધી જીંદગી એક જીવતું જાગતું ફેઈલ્યર બની ને રહ્યા છે એટલે જ પોતાના સંતાનો (સોરી, એ સંતાનો નથી બે ઘડી કરેલી મોજમજા નું પરિણામ અને પછી જીવતો જાગતો શો પીસ છે) ની ફેઈલ્યર રતી ભાર પણ બરદાસ્ત કરી શકતા નથી. ૮૦ ટકા લઇ ને આવનાર ના ૭૫ ટકા ય પોસાતા નથી, તો આ લોકો નું ચાલે તો એના સંતાનો ને જાહેર માં શૂળી એ ચડાવી દે. શરીર ને મારી શકે કે કેમ પણ આ વાલીઓ (રામાયણ નો વાલી ફીટ બેસે છે) એના સંતાનો ના ઉત્સાહ નું બહુ જલ્દી કતલ કરી નાખે છે.

    પોતાના સંતાનો ની નિષ્ફળતા ને ય જો આ એક્સેપ્ટ કરી શકે તો વાલી નામની જમાત નો બહુ મોટો ઉપકાર હશે સમાજ પર.

    ReplyDelete
  7. માર્ચ આવ્યો અને આ પરીક્ષાઓની મોસમ છે. બૉર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે; અને તે તમામ વિદ્યાર્થીઓ અને તેમના મા-બાપ માટે મહત્વનો દિવસ છે. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષામાં બેસવા જઈ રહ્યા છે, હું તેમને તેમના પ્રયત્નમાં ભવ્ય સફળતાની શુભેચ્છા આપું છું. હું સ્વામિ વિવેકાનંદનું વાક્ય ટાંકવાનું પસંદ કરીશ – ‘ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તી સુધી મંડયા રહો’.

    ReplyDelete
  8. mitro tame badha e je vat kari te ek dam vicharva jevi 6 bas avi vato matra kagal par j rai jay 6....ana mate apde badha e j kai karvu rahyu....avi anokhi rite education system ma badlav sathe.....vision science nam ni school thoda samya ma open thai rahi 6 jay bhar vagr nu bhantar-sathe gantar pan hashe....to apne sath-sahkar malshe tevi apexa...aabadhu abhari 6...ghanshyambhai italiya ke je....apshe balko me bhantar ni sathe amne amnu balpan ni maza....

    ReplyDelete
  9. ખરેખર મુકુલ સર તમે બહુ ગંભીરતાથી આ મુદ્દો ઉઠાવ્યો છે.એકદમ હૃદયસ્પર્શી
    છે.આ ખરેખર લાંબી ચર્ચા માંગી લે તેવો વિષય છે મેં ખુબ વિચાર્યું છે આ મુદે

    ReplyDelete
  10. મુકુલભાઈ... તમે તકને સમયે મુદ્દા ની વાત કરી... પણ આ વાત અગલા ૨૫ વર્ષ સુધી લોકો ના વિચારો માં વહેતી રાખવા જેવી છે...
    વિદ્યાર્થી ઓ ભીંસાયેલી સ્થિતિ માં છે...
    તો વાંક કોનો? આપની શિક્ષણ વ્યવસ્થાનો કે માતા-પિતા નો કે દેશ માં ઘટી રહેલી સારી નોકરી ની તકો નો?
    એક વાત તો સ્પષ્ટ છે... કે ... જમાનાઓ થી માધ્યમ વર્ગ સતત મહેનત કરી ને પોતાના સંતાનો ને ઉચ્ચ શિક્ષણ આપવા માંગે છે જેથી તેમની વર્ષો થી તંગ-આર્થિક-પરિસ્થિતિ માંથી તેઓ છૂટી શકે... જયારે હવે આજ શિક્ષણ અતિશય મોંઘુ થયું છે ત્યારે આ જ પરિવારો એ ઉપવાસ કરીને /ઉધાર માંગી ને તેમના ઉજ્જવળ ભવિષ્ય ની આશા સાથે સંઘર્ષ કરવો પડે છે અને તેમના સંતાનો ને પણ તેમના સાપનો ના પંખાળા-ઘોડા બનવા સિવાય છૂટકો નથી... પણ આ બધુ ક્યાં જઈ ને અટકશે? હવે તે પંખાળા-ઘોડા થાકવા માંડ્યા છે... સપના ઓ મૃગજળ દેખાય છે... પરિવારો હતાશ છે... લાગણીઓ માથાપર ચઢી અને કઢંગા અંતિમ વિચારો કરવા પ્રેરે છે... અને આવા ભારતીય હતાશ સમાજ ૪૦% મધ્યમવર્ગ ની "જીન્દાદીલી" મારવા ની અણીપર છે... આ નિરાશ જેઓ પંખાળા ઘોડા ના સ્વપન માં ચુર હતા તે "આત્મ-વિલોપન" ની સ્થિતિ માં છે...
    આનો ઉપાય શું?... નોકરીઓ ની તકો વધારવી?... વ્યવસાયિક શિક્ષણ સંસ્થા નું પ્રમાણ વધારવું? મેડીકલ ને engineering ની seats વધારવી? .... કે પછી આપણા સમાજ ના વિધવાન વૃદ્ધો આ જાહેર જીવન માં મદદ કરીશકે?
    એક વાત તો સધી નજરે ચડે છે તે આ મોંઘી ફીસ... શું આપણે-સમાજ ભણતર નું સ્તર ઊંચું લાવી અને ફીસ નીચે લાવી શકીએ?... હા!!... જો આપણા સમાજ ના ભણેલા ૬૦+ ઉમર વાળા આ બીડું ઝડપે અને પોતાનું જ્ઞાન ટોકન ફીસ માં વિદ્યાર્થીઓ ને પૂરું પડી અને Municipality અને ગવર્નમેન્ટ ની સંસ્થાઓ દ્વારા આ કામ થઇ શકે છે... તેમજ નવા વ્યવસાય લક્ષી પણ સસ્તા કોર્સ બનાવી અને વધારે નોકરી ની તકો ની સાથે કાબેલ-કાર્યલક્ષી-સમાજ ની રચના કરી શકાય... પણ સમાજ ના લોકો એ સ્વાર્થ બાજુ પર મૂકી અને દેશ ની અને સમાજ ની પ્રગતિ ઉપર ધ્યાન આપવું રહ્યું... તમને લાગે છે આ શક્ય છે?

    જો આપણે જ આ લોકો ને આજે મદદે નહિ આવીએ તો કઈ કેટલાય વિદ્યાર્થીઓ નું ભાવી ખાડે અને કદાચ આત્મ-વિલોપન ના રસ્તે છે... જે અટકાવી શકાય એમ નથી...

    ReplyDelete
  11. Are khatarnak....seriously ek var magaj vichartu kari didhu k ketlu khotu chale che aa badhu....ane badlavuj joye.....

    ReplyDelete
  12. જેમ ડો.બાબા સાહેબ નો કાયદો બદલવાનિ જરુર છે. એમ અત્યારનુ બોજારુપ ( આર્મિ ટ્રેનિગ ) જેવુ ભણતર હળવુ કરી. વિદ્યાર્થિ જિવન ને ખુલી પાખે ઉડવા દો. હજુ મોટા લક્ષ્યો પ્રાપ્ત કરવાના છે આ દેશ ને ........... વન્દે મા ભારતી.

    ReplyDelete
  13. ઘણા સમય પહેલા સી.એમ.ને લખેલા સુઝાવને જોશો એ આ રહી-


    ધોરણ૧૦ ને તાત્‍કાલિક અસરથી બોડઁ માંથી બાકાત કરવું જોઇએ કારણકે તેના લાભ કરતાં અનિષ્‍ટો ઘણાં છે, કારણકે દર વષેઁ ઘણી દીકરીઓ દસમું ફેઇલ થવાને જીવન ભર એક ઘૂંટન સાથે જીવવું પડે છે. ધોરણ ૧૦ ફેઇલ થઇને તેં જયારે સાસરીયે જાય છે,ત્‍યારે "દસમું ફેઇલ છે" જેવા મેણા સાથે જીવવું પડે છે. તો કયારેક આવા મેણા એમનાં માટે આપઘાતનું કારણ બનેછે .ઘણા દીકરાઓ ની કારકિઁદી દસમું ધોરણ ખલાસ કરી નાંખે છે, કારણ કે ધોરણ ૧૦ ની તુલનામાં ધોરણ ૧૨નો સામાન્‍ય પ્રવાહનો અભ્‍યાસક્રમ સરળ છે,તેથી ધોરણ ૧૦ તેનાં માટે નિરથઁક બની જાય છે, અને ધોરણ ૧૨ તેનાં માટે એક સ્‍વપ્‍ન બની જાય છે, અને લગભગ ધોરણ ૧૦ માં તેનું ફેઇલ થવું તેનાં અસામાજીકતા બનવાના કારણોમાંનુંએક કારણ બની જાયછે. સમાજ અને સિસ્‍ટમ વિરુદ્‍ધનું તનું માનસ બનતું જાયછે, ધોરણ ૧૦ નીપરીક્ષા આવા કારણોને કારણે ખૂબજ ઘષઁણમય અને માતા-પિતાઓને ચિંતા ઉપજાવનારી બની જાયછે. ધોરણ ૧૦ નાં કારણે પોલિટેકનીક ડીપ્‍લો અને આઇ.ટી.આઇ જેવા કોષઁ પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવી જોઇએ તેના કારણે સ્‍થાપિત હિત ધરાવતા લોકોને મોકો આપવો જોઇએ નહી. ધોરણ ૧૦ માં દ્રારા ધોરણ ૧૨નો સામાન્‍ય પ્રવાહનો અભ્‍યાસક્રમ ભણવા માગતા વિધાથીઁ માટે હાલનો ધોરણ ૧૦ નો અભ્‍યાસક્રમ ખરેખર નિરથઁક છે. ધોરણ-૮ થી ૧૨ સુધીનાં પાંચ વષઁનાં ગાળામાં બબ્‍બે બોડઁની પરીક્ષા? સરકારે પોતાનાં અને વાલીઓનાં માથેથી ધષઁણમય ભાર ઉતારી અને મહેનત જ કરવી હોય તો ધોરણ-૧ થી ૭ નિદાનાત્‍મક બોડઁ પરીક્ષા દાખલ કરી ખરેખર પાયાનું કામ કરી ગુજરાતનો પાયો મજબૂત કરવો જોઇએ નહીકે ધોરણ ૧૦ને બોડઁ માં રાખીને સાંઢોને ધરવવાનું કામ કરીને શૈક્ષણિક રાજકારણ ખેલવું!! આવા મુદા ઉપર વિચારવું જોઇએ અને કોઇ કલ્‍યાણકારી નિણઁચ લેવો જોઇએ.અને આ માટે રાજય સરકારે સીધી રીતે નિણઁય લેવો જોઇએ કોઇ બોડઁ મેમ્‍બરની સમિતી દ્રારા આવા નિણઁય ન લેવડાવા જોઇએ કારણ કે આવી સમિતી ટયુશનિયા શિક્ષકો થી પ્રભાવિત હશે.


    ૪. ધોરણ ૮ થી ૧૨ સુધી નાં તમામ પાઠય-પુસ્‍તકોને સી.ડી સ્‍વરુપે તૈયાર કરાવવા જોઇએ અને વિષયાંગ અને તેનાં મુદા્ને અનુરુપ એનિમશન , ફોટાઓ કે ચિત્રો તથા સ્‍લાઇડ- શો કે ફિલ્‍માકંન દ્વારા ટીચીંગ પધ્‍ધતિનેં જીવંત અને વધુ અસરકારક બનાવી શકાશે.. સાથે સાથે શિક્ષકોનેં રાજયની ટેકનોલોઝીની સુવિધા અને સાહસો દ્રારા રાહત દરે કે સબસડી સ્‍વરુપે લેપટોપ આપવા જોઇએ, જેથી શિક્ષણની પધ્‍ધતિને અસરકારક બનાવી શકાય તેથી ઇ-ગ્રામ વિશ્વ ગ્રામની જેમ ઇ- ટીચીંગ પ્રોજેકટ રજૂ કરી ને ગુજરાત રાજય આ વિષય ઉપર પહેલ કરી શકે એમ છે.

    ReplyDelete
  14. મુકુલભાઈ આ વેપારી અને વધારે પડતા પોલિટિસાઈઝ્ડ વિશ્વમાં અપેક્ષા એ અસ્તિત્વવાદી અભિગમ રહ્યો નથી જ્યાં આપણે live by choice,હવે તો imposed revolutionના ભાર તળે પસંદગી કરી રહેવું પડે છે,આજનો માણસ(અને માનસ) i exist politics સુત્રના પ્રચાર અને વજન તળે વિકસે છે ત્યારે વિડિઓ તરફ વળેલાં વિદ્યાર્થિઓ પાસેથી અપેક્ષા ક્યાં અને કેવી રીતે રાખવી એ અમેરિકન મા-બાપનો વિદ્ગ્ધ સવાલ છે.uncertain certainties ભરેલા સમયમાં સમસ્યા ઉકેલ જ મથામણ અને હયાતી બન્ને એક સાથે છે,અહીં ભય હેઠળ નાગરિકને જીવતો રખાય છે ત્યાં ભય અને તાણ હેઠળ,એવા સમયમાં કેવળ સાચા પ્રશ્નો જ ઉભા કરી શકાય નિરાકરણ નહિં અને તમે એવો એક સાચો સવાલ આપ્યો જેનું નિરાકરણ દરેકના સ્વકમાં છે.

    ReplyDelete
  15. very nice and relevant article..we need to know difference between information & knowledge; teaching and education...parents need counselling more than students, I agree.....thx for sharing

    ReplyDelete
  16. હું આખું વર્ષ મહેનત કરું... આખા વર્ષ ની મહેનતનો નીચોડ ફક્ત ત્રણ કલાક માં... જો તેમાં કોઈક કારણસર કાચો પડું તો..... ??? મારી આવડત, મારી અખા વરસ ની મહેનત એક કાગળ ના ટુકડામાં ફેરવાઈ ને આખી જિંદગી નજર સામે રહી ને મને હીણપત ની લાગણી નો અનુભવ કરાવ્યા કરે.... અને મારે એ કાગળ ના ટુકડા ના આધારે જ મારી કારકિર્દી આગળ વધાવવાની ? આ પરીક્ષા પધ્ધતિ કેટલી યોગ્ય ?

    ReplyDelete
  17. હું આખું વર્ષ મહેનત કરું... આખા વર્ષ ની મહેનતનો નીચોડ ફક્ત ત્રણ કલાક માં... જો તેમાં કોઈક કારણસર કાચો પડું તો..... ??? મારી આવડત, મારી અખા વરસ ની મહેનત એક કાગળ ના ટુકડામાં ફેરવાઈ ને આખી જિંદગી નજર સામે રહી ને મને હીણપત ની લાગણી નો અનુભવ કરાવ્યા કરે.... અને મારે એ કાગળ ના ટુકડા ના આધારે જ મારી કારકિર્દી આગળ વધાવવાની ? આ પરીક્ષા પધ્ધતિ કેટલી યોગ્ય ?

    ReplyDelete
  18. લેખ સમયોચિત છે. લેખ સાથે આપેલ કારટૂન ,લગભગ, બધુ જ કહી જાય છે.છેલ્લાં ઘણાય વરસો થી ભાર વિનાના ભણતર ની વાતો થયા કરે છે, હકીકતે કોઇ સુધારો દેખાતો નથી,થતો હશે તો તે કીડી વેગે ...! ૧૦/૧૨ મા ધોરણ ની પરિક્ષાઓ વિદ્યાર્થિ ની સાથોસાથ વાલિઓ માટે પણ 'ઇગો' નો પ્રશ્ન બની રહેછે...મેરી શર્ટ તેરી શર્ટ સે જ્યાદા સફેદ વાળુ યુદ્ધ માનસિક કક્ષાએ સતત લડાતુ રહે છે. ૨૦૧૩ ના શૈક્ષણિક વર્ષ થી ૧૦ મા મા બોર્ડ નીકળી જશે એમ જાણ્વા મળ્યુ છે.

    ReplyDelete
  19. સર્વસામાન્ય પરીક્ષાથી સર્વઅસમાન લોકોને ચકાસવાની પ્રક્રિયાને બદ્લતા રહેવાને બદલે તો 'શિક્ષણશાસ્ત્રીઓ' તેને વધારે અને વધારે જટીલ બનાવી રહ્યા છે, તે તથાકથીત આધુનિક શિક્ષણનો અભિશાપ કહી શકાય.

    ReplyDelete
  20. આજ ની જે શિક્ષણ પદ્ધતિ છે તેનો જો વિચાર કરીએ તો એ ખરેખર ફેર વિચારના માગી લે એવી છે એવું વર્મન પત્રો માં પ્રસિદ્ધ થતા સમાચારો વાચતા લાગે છે. કારણ કે છેલ્લા પંદર દિવસ ના જે સમાચારો વાંચીએ છીએ તે બધા માં એક જ જાત નો પડઘો પડે છે કે પરીક્ષા ના ડર થી અથવા તો વિદ્યાર્થી એમ વિચારે છે કે મેં આખું વરસ મહેનત કરી અને પરીક્ષા માં હું સંતોષજનક દેખાવ નહિ કરી શકું તો એવા અજ્ઞાત ભય થી પીડાતો અંતે પોતાના જીવન નો અંત લાવી દે છે. આની પાછળ ના જવાબદાર કારણો ની ચર્ચા કરીએ તો ઉડી ને આંખે વળગે એવું જો કોઈ કારણ હોય તો તે છે આજ ની ખામી ભરેલી શિક્ષણ પદ્ધતિ અને વિદ્યાર્થી ઓ ના વાલી ઓ નું વિદ્યાર્થી પ્રત્યે નું વલણ અને આકાશ ને આંબે તેવી અપેક્ષા ઓ કે ગમે તે થાય મારો દીકરો અથવા દીકરી સારા માર્ક લાવી અને અમને સંસાર માં ઉજળા કરી બતાડે. વાલી ઓ હકીકત માં પોતાના મન માં એક સમજતા હોય છે કે અમે જે નથી કરી શક્યા તે અમારા સંતાનો કરી બતાડે. પણ એવું ભાગ્યે જ બનતું હોય છે. અને વાલી ઓ ની આવી અપેક્ષા ઓ સંતોષવા ખાતર જ વિદ્યાર્થી પોતાને જેમાં રસ હોય તે ભણી ના શકે અને રસ ના હોય તે તેને પરાણે ભણવું પડે છે. અને સ્વાભાવિક છે કે જે કામ માં રસ ના હોય તે કામ આપણે સરખી રીતે કરતા હોતા નથી.. એટલે વાલી ઓ એ પોતાના સંતાન ને ક્યાં વિષય માં રસ અને રૂચી છે તે જોવું જોઈએ અને પછી તેના સંતાન ને એ લાઇન માં આગળ ભણવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.. અને ખાસ તો શિક્ષણ પદ્ધતિ માં પણ આમૂલ ફેરફારો કરવા ની જરૂરત જણાય છે. કારણ કે જે જગ્યા પર જેવા કર્મચારી ઓ ની જરૂર હોય તેવા કર્મચારી ઓ મળતા જ નથી..અને ખાસ તો ખામીભરેલી પરીક્ષા પદ્ધતિ ઓ પણ એટલી જ જવાબદાર છે. આખું વરસ જે વિષય શીખતા ને જાણતા એક વરસ લાગે છે.. એતો બધા જ સ્વીકારે છે. પણ કોઈ એ નથી સ્વીકારતું કે જેને જાણતા આખું વરસ જોઈએ તેને અભિવ્યક્ત કરતા ફક્ત ત્રણ કલાક જ લાગે..? કોઈ પણ વિષય હોય તેને સંપૂર્ણ અભિવ્યક્ત કરતા ક્યારેય ત્રણ કલાક લાગે જ નહિ.. ઘણો સમય માગી લે ત્યારે તે વિષય અભિવ્યક્ત થાય.. અને બધું જ આવડતું હોય અને જો પરીક્ષા ના ત્રણ કલાક દરમ્યાન ના આવડે અથવા તે વિદ્યાર્થી ને યાદ ના આવે તો તેને આખી જીંદગી કઈ નહિ આવડે તેવું પરીક્ષકો પોતાના મન માં સમજી બેઠા છે. હકીકત માં તેવું હોવું ના જોઈએ.. અને આજ ના ગળાકાપ હરીફાઈ ના યુગ માં વિદ્યાર્થી ને ક્યારેય જીવન નું શિક્ષણ મળતું જ નથી.. ફક્ત આજીવિકા નું શિક્ષણ મળે છે. અને પરિણામ એ આવ્યું કે આજ નો વિદ્યાર્થી એ શીખ્યો કે ગમે તે થાય .. '' કોઈ ને મુંડી નાખો.. પણ ગમે તે ભોગે મૂડી મેળવો..''
    અને થયું એવું કે.. આજ ની શિક્ષણ પદ્ધતિ ને લીધે..
    સમાજ ને એક સારો દાકતર મળે છે..
    સારો વકીલ મળે છે..
    સારો ઈજનેર મળે છે..
    સારો સી.એ મળે છે.
    પણ..
    ક્યાય સારો માણસ મળતો નથી..
    સારો માણસ ખોવાયો છે.... !
    ક્યાય સારો માણસ જડતો નથી..

    [ આપના મંતવ્યો જણાવશો ]

    ReplyDelete
  21. મુકુલભાઈ,આપણા દેશના અનેક સળગતા સવાલોમાં સૌથી ભયાનક સવાલ આપણી શિક્ષણ પધ્ધતિ છે.બધા જ પ્રશ્નોની ગંગોત્રી છે.શાળા-કોલેજ રૂપી હાટડીઓથી જ ભ્રષ્ટ્રાચારના બીજ રોપાય છે.લોર્ડ મેકોલેને ભાંડવા સિવાય આજ સુધી કોઈ પરિણામલક્ષી આયોજન વિચારાયું નથી.હું,તમે અને આજના ભૂલકાં-પેઢીઓ બદલાઈ ગઈ,પણ સમસ્યા તો વકરતી જ ગઈ.તર્કહીન અભ્યાસક્રમો,જડ પરીક્ષા-પધ્ધતિ,અર્થહીન પરિણામો અને મૂલ્યહીન ડીગ્રીઓ...M .A . PHD .નો ઈન્ટરવ્યું લેતો અંગૂઠાછાપ ટ્રસ્ટી...શું છે આ બધું ?આવું કેમ ચલાવી લેવાય ?પણ ચાલે છે.આપણે લાચાર છીએ.અને આપણી લાચારીમાં ભીંસાય છે..કૂમળું બાળપણ અને આશાભર્યું યૌવન...મારી પાંચ વરસની પૌત્રી વહેલી સવારે રોતી રોતી પરાણે ઊંઘમાંથી ઊઠીને,જલ્દી જલ્દી તૈયાર થઈને,યુનિફોર્મ પહેરીને સ્કૂલની ગાડીમાં જાય છે ત્યારે એના ગભરુ ચહેરા પરની લાચારી જોઇને મારી આંખમાં આંસુ આવી જાય છે,પણ શું કરું ?એના ગજા બહારનું હોમવર્ક..ટ્યુશન અને એક્ઝામ....!આમાં એ રમે ક્યારે ?આ જ ચિત્ર લગભગ દરેક ઘરનું છે.અને ૧૦ મુ -૧૨મુ -એ તો જબરું તૂત છે.ગિજુભાઈની થીયરી મુજબ ૭ વરસ પહેલા બાળકને કંઈ પણ ફરજ પાડવી એ ક્રૂર હિંસા ગણાવી જોઈએ.વાર્ષિક પરીક્ષા અને ટકાવારીને બદલે ત્રિમાસિક મૂલ્યાંકન થવું જોઈએ.ગોખણપટ્ટીને બદલે તલસ્પર્શી અભ્યાસના આધારે જ મૂલ્યાંકન થાય તો માનસિક દબાણમાંથી મુક્તિ મળી શકે.પણ આ બધું ક્યારે થાય ?જયારે વિદ્યાર્થીઓ જ મશાલ સળગાવશે.સ્થાપિત હિતોનો ભાંગીને ભુક્કો કરશે,ત્યારે જ આ સ્થિતિ બદલાશે....અને એ દિવસ હવે દૂર નથી....

    ReplyDelete
  22. મુકુલભાઈ,

    શિક્ષણ અંગેન્પ સમયસર નો સચોટ લેખ બદલ ધન્યવાદ ! આપણે બધા જ બૂમો પાડીએ છીએ કે શિક્ષણ પદ્ધતિ બદલવી જરૂરી છે અને બાળવી જ જોઈએ ! પરંતુ સાથે સાથે એ પણ સૂચન જરૂર છે કે કી પ્રકારની શિક્ષણ પદ્ધતિ આ જ ના સમયને અનૂરૂપ છે ? ફક્ત ભારતમાં જ આ તકલીફ છે તેવું નથી, જ્યાં બદલાયેલ છે ત્યાં આ નહિ તો બીજી તકલીફ છે કે વિધાર્થી અભ્યાસ જ કરતાં નથી, અને સામન્ય ભણતર મેળવી રોજગારી મેળવવા કોશિશ કરતાં હોંય છે. માટે તેનો ખૂબજ તલસ્પર્શી અભ્યાસ પહેલા જરૂર છે.

    ReplyDelete
  23. મુકુલભાઈ - ખુબ જ સરસ લેખ,
    અત્યારનું શિક્ષણ વાલીઓ માટે એક સ્ટેટસ ની વસ્તુ થઇ ગઈ છે ... મારો ગગો/ગગી ફલાણી સ્કુલ માં ભણે છે, અને ફી તો વળી પૂછો જ નઈ..???!!!
    "શું વાત કરો છો ??ગુજરાતી મીડીયમ ?? એમાં વળી મુકાતા હશે ??"...
    "બેટા અંકલ ને રાયમ સંભળાવ ??" જાણે બાળક નઈ પણ શો-પીસ જોઈ લો..

    ReplyDelete
  24. આ વિષય મનન અને મનોમંથન માગી લે તેવો છે...ગાડરિયા પ્રવાહમાં તણાવુ એ આપણા લોહીમાં છે ...અને કેટ્લાક લોહી ઉકાળા કરવા વાળા લોકો પણ છે..જેના પુરતા પ્રયત્નો રહે છે સામા પ્રવાહમાં તરવાનાં.....પણ ઘરેડ્માં જીવવાવાળા લોકોને આવા પ્રક્ષ્નોની પણ આદત
    પડી હોય છે..અને આ વિષયમાં શિક્ષણ પધ્ધતિ તો છે જ જવાબદાર પણ આપણૂ બાળક તો આપણુ જ છે ને..? તેના પર કેટ્લો અને કેવો બોજો નાખવો એ આપણા હાથમાં છે..સ્પર્ધાત્મક જમાનો છે એ વાત સાચી પણ બાળકને કેમ અને ક્યા ,ક્યારે દોડાવવા એ આપણા હાથમા છે....દુનિયા આખી દોડે છે ત્યારે તમારો વિસામો તમને મોંઘો પડ્શે એવુ જેને લાગતુ હોય એને બાળક્ને જન્મ જ ન આપવો જોઇયે...મારી બન્ને દિકરીઓ ને મે આ સ્પર્ધાત્મક જગતમાંથી બાકાત રાખીને ઉછેરવાનૂ સુંદર પરિણામ મને મળ્યુ છે..ભાર ન રાખવાથી એ તેમના જીવનને મા ણે છે એ મારે મન અગત્યનુ છે....બાકી આવા આપઘાત થાય એની પાછ્ળ નબળી માનસિકતા જ હોય છે...અને જ્યાં જઇએ ત્યાં સામનો તો છે જ...્પણ ઘડ્તર જો સબળુ હશે તો......!

    ReplyDelete
  25. એક હાથે ક્યારેય તાળી વાગતી નથી.......આવી ઘટના માં વિદ્યાર્થી તો હોય છે..પણ એની પચ્ચલ માતા પિતા,શિક્ષક અને પૂરી શિક્ષણ વ્યવસ્થા પણ જવાબદાર હોય છે........

    ReplyDelete
  26. એવું જ કાંઇક શુભેચ્છા પાઠવવાનું પણ હોય છે , એ પણ એક ખોટો વહેવાર છે...મને યાદ છે મારી મમ્મીની એક મિત્ર આવી જ રીતે ૧૨માં ની પરીક્ષાનાં આગલા દિવસે આવેલાં, અને મેં ગુજરાતી આખું વર્ષ બુક હાથમાં નહોતી લીધી, સવાલ-જવાબ કરવા નહોતાં, નિબંધ-વ્યાકરણ માં માર્કસ મળી જશે તેવો આત્મવિશ્વાસ એટલે માત્ર કવિ-લેખકોનાં નામ વાળા જોડકાં પૂરતી બુક વાંચવાની હતી.......પણ સારું હતું કે ગુજરાતીનું પેપર હતું, બાકી એ આન્ટી રીતસર ત્રણ કલાક વાતોનાં વડાં કરીને ગયા હતાં!

    બાય ધ વે આખી સડી ગયેલી શિક્ષણ પધ્ધતિ માટે તો એટલું કહી શકાય - લાતો કે ભૂત બાતોં સે નહિં માનતે!

    ReplyDelete