Wednesday, June 20, 2012

ટેકનોલોજી: જિન જ્યારે ’આકા’ બની જાય છે!


           ગળથૂથી:
 "ભલે કહેવાતું કે ગોખણીયું જ્ઞાન એ માણસને મશીન બનાવે છેપણ જે પાયાના સૂત્રો છે એના માટે ગોખણપટ્ટી અનિવાર્ય જ છે."
* * *
           હમણાં થોડા દિવસ પર એક પત્રકાર મિત્રની સાથે એમના પ્રેસ પર બેસી ગપસપ કરતો હતો, વાત વાતમાં એ મિત્રે એકદમ લાંબો નિશ્વાસ મૂકીને કહ્યું,”આજે કેરીનો રસ ખાવા નહીં મળે!મેં આશ્ચર્યથી પૂછ્યું, “કેમ?” “આજે આપણા રહેણાકના વિસ્તારમાં લાઇટનો કાપ છેને એટલે...હું ગુંચવાયો કે લાઇટના કાપને ને કેરીના રસને વળી શું સંબંધ? મારા ચહેરા પર પ્રશ્નાર્થ ચિહ્ન વાંચી ગયેલા એ મિત્રે ચોખવટ કરી, “ લાઈટ નથી એટલે મિક્સર કે બ્લેન્ડર ના ચાલે, એટલે કેરીનો રસ ના થાય! પહેલાં તો મમ્મી કેરી ઘોળીને રસ કાઢી દેતાં, પણ આજકાલના બૈરાંઓને એ ના આવડે!એ મિત્રની વાત સાંભળી થોડીવાર માટે તો શું પ્રતિભાવ આપવો એ ના સૂઝ્યું, પણ પછી વિચારોનું જે ચગડોળ ચાલ્યું એમાંથી આ આખો લેખ લખાયો. સાચી વાત છે, ટેક્નોલૉજી એક એવો જિન છે જેને માણસે બોટલમાંથી બહાર કાઢ્યો પોતાના હુકમની તામિર કરવા માટે પરંતુ થયું છે એનાથી ઊલટું, લગભગ લગભગ થયું છે એવું કે આકાજ આજે આ જિનનો ગુલામ થઈ બેઠો છે! સવાલ એ છે કે આવું કેમ થયું છે? એના માટે જવાબદાર કોણ છે? અને હવે આ નાગચૂડમાંથી છૂટવું કેમ? આ બધા સવાલોને સમજવા માટે આપણે અહીં કોઈ અટપટી ટેક્નોલૉજીની વાત નથી કરવી કે નથી કરવી કોઈ રોકેટ સાયન્સની ચર્ચા, પણ જે છેક છેવાડાના આદમીને પણ સ્પર્શે છે, જેનો ડગલે ને પગલે ઉપયોગ થાય છે અને જેને સમજવામાં અભણ કે ભણેલાના ભેદ પણ નડે એમ નથી એવી સીધીસાદી ટેક્નોલૉજીને લઈને જ સમજવાની કોશિશ કરવી છે.
             સ્વ.ચંદ્રકાંત બક્ષીએ એમના એક પુસ્તકમાં કદાચ અમેરિકાના પ્રવાસ અંગેના પુસ્તકમાં જ એક પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે. તેઓ અમેરિકાના એમના પ્રવાસ દરમ્યાન કોઈ એક દુકાનમાં ખરીદી કરવા માટે ગયા હતા ત્યારે એમણે જોયું કે કાઉન્ટર પરની સેલ્સ ગર્લને એક એક આંકડાની બે રકમનો ટોટલ કરવા માટે પણ કેલ્ક્યુલેટરની જરૂર પડી! જે સરવાળો અહીં આપણા દેશમાં પહેલા કે બીજા ધોરણનું બાળક પણ મોઢે અથવા વધુમાં વધુ આંગળીના વેઢે કરી શકે એવા હિસાબ કરવા માટે પણ કેલ્ક્યુલેટરનું અવલંબન! જો સમયસર નહીં ચેતીએ અને શક્ય ત્યાં સુધી આ ગણકયંત્રનો ઉપયોગ ટાળવાનું આપણાં બાળકોને નહીં શીખવી તો આપણા દેશમાં પણ આ પરિસ્થિતિ આવીને ઊભી રહે એ દિવસો અસંભવ નથી! પહેલાં, આપણા વડીલો ગમે તેવા અપૂર્ણાંકના હિસાબ પણ મોઢે કરી શકતા હતા કારણ કે ત્યારે શાળાઓમાં ઊઠાં ભણાવવામાં આવતાં હતાં, સાચા અર્થમાં ઊઠાં ભણાવવામાં આવતાં હતાં અત્યારે જેમ રૂઢી પ્રયોગના અર્થમાં ઊઠાં ભણાવાય છે એમ નહીં! આ ઊઠાં એટલે સાડાત્રણ. એ જમાનામાં એકુ થી દાણ, અગ્યારાથી વીશા, એકવીશાથી ત્રીસા આ ઘડિયા તો ગોખાવવામાં આવતા જ ઉપરાંત પા, અરધો, પોણો, સવાયો, દોઢા, અઢિયા અને ઊઠાં ના ઘડિયા પણ ખરા, જેના કારણે સરવાળા અને ગુણાકાર કરવામાં એકદમ સરળતા રહેતી. એમ ભલે કહેવાતું કે ગોખણીયું જ્ઞાન એ માણસને મશીન બનાવે છે, પણ જે પાયાના સૂત્રો છે એના માટે ગોખણપટ્ટી અનિવાર્ય જ છે.

             બીજી એક આપણી રોજબરોજની વપરાશની વસ્તુની વાત કરીએ, મોબાઇલ ફોન. વિચારી જુઓ, તમને કેટલા લોકોના મોબાઇલ નંબર મોઢે છે? લોકોની વાત છોડીએ, કેટલા અંગત મિત્રોના નંબર યાદ છે? એનાથી પણ એક ડગલું આગળ વિચારીએ, આપણામાંથી કેટલા લોકોને પોતાના ફેમિલી મેમ્બરના નંબર મોઢે છે? આપણામાંથી મોટા ભાગના લોકોને માંડ બે કે ત્રણ નંબર યાદ હશે! જે લોકો જીવનના અઢી-ત્રણ દાયકા વટાવી ચૂક્યા છે એ લોકોને ખબર હશે કે જ્યારે સંપૂર્ણ રીતે લેન્ડલાઇન ફોન નો જમાનો હતો ત્યારે દરેક વ્યક્તિને આસાનીથી પંદર-વીસ-પચ્ચીસ લોકોના ફોન નંબર યાદ રહેતા. તો એવું શું થયું કે આ મોબાઇલ આવવાથી યાદદાસ્તને ઘસારો પહોંચ્યો? શું ખરેખર અમુક સંશોધન કહે છે એમ, ખરેખર મોબાઇલના ઇન્સ્ટ્રુમેન્ટમાંથી એવા કોઈ ઘાતક કિરણો નીકળે છે કે જેના લીધે આપણે બધા ગજનીબનવા માંડ્યા છીએ? શક્ય છે કે મોબાઇલના ડબલાની એવી કોઈ ઘાતક આડઅસર પણ હોઈ શકે, પણ આપણે અહીં જે બાબતની વાત કરીએ છીએ એમાં મુખ્ય કારણ એ નથી. પરંતુ જ્યારે આપણે લેન્ડલાઇન વાળાં ડબલાંજ વાપરતા હતા ત્યારે, કોઈ પણ નંબર ડાયલ કરવા માટે સૌ પ્રથમ તો આપણે ડાયરીમાં લખેલો નંબર જોવો પડતો, એ પછી એક એક કરીને આંકડાના ચકરડામાં આંગળી નાખી ઘુમાવવાના અથવા તો જો પુશબટન ફોન હોય તો બટન દબાવવાનું, એ પછી પણ જ્યારે સામેની વ્યક્તિ ફોન ઉપાડે ત્યારે એક વાર મોઢેથી બોલીને નંબર એજ છે કે નહીં એની ખાતરી કરવાની. આમ એક ફોન કરવામાં કોઈ પણ નંબર દર વખતે ઓછામાં ઓછો ત્રણ થી ચાર વખત આપણી નજરે ને જીભે ચડતો, જ્યારે અત્યારે મોબાઇલમાં મોટાભાગે તો નંબર આપણી આંખોથી ઓઝલ જ રહે છે અને સામે આવે છે માત્ર નામ! હવે જે નંબર આપણે કદી જોતા જ નથી, જે કદી બોલતા જ નથી કે જે કદી ડાયલપેડ પર ડાયલ કરતાજ નથી, એ યાદ રહેવાનો તો કોઇ સવાલ જ નથી!
             ટેક્નોલૉજીના આ વિસ્ફોટના સૌથી માઠાં પરિણામ ભોગવવાનાં આવ્યાં છે પશુધનના ભાગે અને એમાંયે ખાસ કરીને ગૌવંશે. હું જ્યારે નાનો હતો ત્યારે ગામડે હમેશાં અમારા ઘરે એક ગાય તો રહેતીજ. આ ગાય હજુ તો ગાભણી હોય ત્યાંજ એના આવનાર સંતાન માટે ખેડૂતોના માગાં શરૂ થઈ જતાં, કે જો વાછરડો આવે તો અમારે જોઈએ છે અને જો વાછરડો આવે ને એ હજુ નવ-દશ મહિનાનો થાય ત્યાંજ કોઈ ખેડૂત એનું યોગ્ય મૂલ્ય આપીને લઈ જતો અને એને પોતાના સગા દીકરા કરતાં વધારે કાળજી લઈને ઉછેરી મોટો કરતો જેથી મોટો થઇને અલમસ્ત થયેલો એ બળદ ખેતીમાં કામ આવે. ખેતીમાં કૂવો ખોદવાથી માંડીને કૂવામાંથી પાણી ખેંચવામાં, ખેડમાં અને પછી જ્યારે તૈયાર ઘઊં કે બાજરી ખળે આવે ત્યારે એના ડૂંડામાંથી દાણા છૂટા પાડવામાં, આમ ડગલે ને પગલે બળદ અનિવાર્ય હતા. બળદના છાણમાંથી ઉત્તમ છાણિયું ખાતર તૈયાર થતું. કોઈ ખેડૂતનો બળદ બીમાર પડે તો ઘરના માણસની જેમ ચાકરી કરવામાં આવતી અને તો કદાચ મરી જાય તો ઘરનું કોઇ સભ્ય ગુમાવ્યું હોય એવો માતમ છવાઈ જતો, ગામ લોકો અને સગાવહાલા ખરખરે પણ આવતા. આજે મોટા ભાગના ખેડૂતો પાસે ટ્રૅક્ટર આવી ગયાં છે અને જેની પાસે ટ્રૅક્ટર નથી એ લોકો પણ ઘણુંખરું ટ્રૅક્ટર ભાડે લઈને જ ખેતીનાં કામ કરે છે અને બળદની કોઈ જરૂરિયાત નથી રહી, અને પોતાના સગા માં-બાપને પણ વૃદ્ધાશ્રમનો રસ્તો દેખાડી દેતી આ સ્વાર્થી માણસજાત પછી બળદને શું કામ સાચવે? એટલે એ બિચારો પોતાના હક્કનું દૂધ લૂંટાઈ જતું જોતો ભૂખમરો ભોગવી રિબાઈ મરે છે અથવા કતલખાને ધકેલાય છે અને ખેતર જે બળદના છાણ-મૂત્રનું પોષણ પામતાં હતાં એના બદલે આજે ડીઝલના ધુમાડામાં ગૂંગળાય છે!
             આજે, જ્યારે લાઇટ જતી રહે છે ત્યારે ઘર જાણે કોમામાં સરી જાય છે, કપડાં ધોવાતાં નથી, અનાજ દળાતું નથી, છાસ બનતી નથી, કેરીનો રસ નીકળતો નથી, ચટણી બનતી નથી, અરે તુવેરદાળ પણ બનાવવી અશક્ય થઈ જાય છે! તો શું આજથી ત્રીસ-ચાલીસ વરસ પહેલાં જ્યારે ગામે ગામ લાઈટ નહોતી ત્યારે કોઈ કેરીનો રસ નહીં ખાઈ શકતું હોય? કોઈ ઘરે તુવેરદાળ નહીં બનતી હોય? છાશનું શું થતું હશે? આજે તો પાણી ઘરે ઘરે પહોંચ્યું છે પણ ત્યારે કપડાં ધોવા માટે પણ ગામના કૂવા કે કોઇની વાડી સુધી જવું પડતું. કૂવામાંથી પાણી ખેંચી, કપડાને હાથેથી ત્યારે ૫૦૧ નામનો સાબુ આવતો એ ઘસી, લાકડાના ધોકાથી ધોકાવવામાં આવતાં. (જે ધોકો પાર્ટટાઇમ, બાળકોને ક્રિકેટના બેટ તરીકે પણ સેવા આપતો!)  આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગે કપડાં આ રીતેજ ધોવામાં આવે છે એ શહેરી વિસ્તારની આજની જનરેશનમાંથી કેટલાને ખબર હશે? દહીં ભાંગીને છાશ કરવા માટે કે તુવેરદાળ બનાવવી હોય ત્યારે એને જેરવા માટે હાથેથી જેરણીનો ઉપયોગ થતો અને આજે પણ થાય છે. કોઈ મોટા ઘરે લગ્ન જેવો પ્રસંગ હોય અને જમણવારમાં કેરીનો રસ રાખેલો હોય તો આખી જાનને જમાડવાનો કેરીનો રસ હાથેથી કેરી ઘોળીને અથવા મોટા તપેલા પર શણિયું બાંધી, એના પર કેરી ઘસીને કાઢવામાં આવતો. હા, પહેલાં ગામડાંમાં ઘરે ઘરે જે હાથેથી અનાજ દળવાની ઘંટીઓ હતી તે આજે ગામમાંથી નીકળી શહેરમાં આવીને દિવાનખંડની શોભા બની ગઈ છે!
             આ રીતે મોટા ભાગનાં કામમાં શારીરિક શ્રમ વાપરવાનો બીજો પણ એક મોટો ફાયદો હતો કે ત્યારે કોઇને જિમ જોઈન કરવાની, ફિટનેશ માટે કોઈ ડાયેટિશ્યનને કન્સલ્ટ કરવાની કે ખાસ પ્લાનિંગ કરીને વોકિંગમાં જવાની જરૂર નહોતી પડતી! બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને હ્રદયરોગ એ બધા શબ્દો જાણે કોઇ અજાણ્યા ગ્રહની ડિક્શનરીના હતા.
             તો શું આનો મતલબ એવો થાય કે માત્ર જૂનું એજ સોનું? ફરી પાછા ભૂતકાળ તરફ જઈને એ જીવનપદ્ધતિ અપનાવવી? કદાપિ નહીં...અહીં એવું કહેવાનો કે સ્થાપિત કરવાનો આશય બિલકુલ નથી. સવાલ છે માત્ર વિવેકબુદ્ધિ વાપરવાનો અને આકાબની બેઠેલા જિન ને એના સ્થાને જ રાખવાનો. રેલવે, બૅન્ક તથા સરકારી ઓફિસોમાં હાલના સમયમાં આપણને બધાને એક અનુભવ થયો જ હોય છે કે ક્યારેક કોઈ કારણવશ કમ્પ્યુટર પ્રણાલી ખોરવાઈ જાય છે અને કલાકો સુધી સમગ્ર તંત્ર ઠપ્પ થઈ જાય છે, આમ આદમીનું કામકાજ રખડી પડે છે. હમણાં થોડા સમયથી લગભગ ગુજરાતની તમામ એસ.ટી. બસોમાં કન્ડક્ટરના હાથમાં ટિકિટની વજનદાર બેગની જગ્યાએ એક નાનકડું સાધન જોવા મળે છે, જેણે બુકિંગનું કામ એકદમ ઝડપી અને સરળ બનાવી દીધું છે. ગમે એવી ભીડ વચ્ચે પણ ફટાફટ બુકિંગ થઈ જાય છે ઉપરાંત ચાલુ બસે કંડકટરે ટિકિટના નંબર જોઈને દરેક સ્ટોપ પર વે બીલ બનાવવું પડતું હતું એ ઝંઝટમાંથી પણ મુક્તિ મળી ગઈ છે, પણ ક્યારેક આ સાધન ખોટકાય તો? તો પણ બુકિંગ અટકતું નથી, કારણ કે કંડકટરને મૅન્યુઅલ બુકિંગ માટે ટિકિટો પણ આપી રાખવામાં આવે છે જેથી કામ અટકતું નથી અને પેસેન્જર હેરાન થતા નથી. બસ, દરેક જગ્યાએ આ વસ્તુ કરવાની જરૂર છે, જ્યાં પણ ટેક્નોલૉજી દાખલ કરવામાં આવી છે ત્યાં સાથે સાથે આવી વૈકલ્પિક વ્યવસ્થા પણ હોવી જરૂરી છે જેથી મૂળભૂત રીતે જે વસ્તુ સગવડ વધારવા માટે આવી છે એ અગવડ વધારવામાં નિમિત્ત ના બને!
             તમને નથી લાગતું કે ઘરમાં પણ ક્યારેક આવા પ્રયોગો સમયાંતરે કરતા રહેવા જોઈએ, જેમકે, વોશિંગ મશીનને આરામ આપી અને હાથે કપડાં ધોવાં, ગ્રાઈન્ડરનો ઉપયોગ કરવાને બદલે ખાડણી-દસ્તાથી ચટણી બનાવવી, બ્લેન્ડરને બદલે સાદી જેરણીથી છાશ બનાવવી, વેક્યૂમ ક્લીનર ને એના બૉક્સમાં જ રહેવા દઈ અને સાવરણીથી ઝાડુ કાઢવું, હાથેથી કેરીને ઘોળીને એનો રસ કાઢવો વગેરે, કમસે કમ મહિનામાં એકાદ વખત આ પ્રયોગ કરવો જોઈએ, આમ કરવામાં ગુમાવવાનું કશું જ નથી,  લાઈટ નહીં હોય ત્યારે કેરીના રસની લિજ્જત પણ નહીં ગુમાવવી પડે!
             અને હા, ઘરકામની બાબતમાં તમે ટેક્નોલૉજીની જગ્યાએ કામવાળી બાઈશબ્દ મૂકશો તો પણ ઉપરોક્ત બાબતો અક્ષરશઃ લાગુ પડશે!
ગંગાજળ:
             હમણાં એક મિત્રનો મોબાઇલ પર કોલ આવ્યો, મેં રીંગ વાગ્યા ભેગો ઉપાડી લીધો એટલે કહે કે તમે ઉપાડી કેમ લીધો? મને એક રૂપિયાનું નૂકશાન કરાવી દીધું! તમારે કાપીને સામે કરવાનો હતો! એટલે મેં બહુ શાંતિથી અને પ્રેમથી એને સમજાવ્યું કે મને કેમ ખબર પડે કે તારે મિસ કોલ કરવાનો હતો? એટલે હવેથી જ્યારે પણ તારે મિસ કોલ કરવો હોય ત્યારે મને પહેલાં ફોન કરીને કહી દેવું કે હું મિસ કોલ કરૂં છું, ઉપાડતા નહીં...એટલે નહીં ઉપાડું!

             મારા આ જવાબથી એણે એકદમ સંતુષ્ટ થઈ, ખુશ થઈને ફોન કાપી નાખ્યો, પછી મેં એને કોલ કર્યો ને અમે વાત કરી...!!!

લખ્યા તારીખ: ૧૮/૦૬/૨૦૧૨

18 comments:

  1. સુપર્બ લેખ. અને આંખ ઉઘાડનાર પણ. ટેકનોલોજી આપણા માટે છે નહી કે આપણે ટેકનોલોજી માટે. આ બાબત હવે વીસરાઇ રહી છે.

    એકદમ રોજબરોજના ઉદાહરણો કદાચ લોકોને વિચારતા તો અવશ્ય કરશે જ. અહીં કદાચ શબ્દ જાણી જોઇને મુક્યો છે. અંક અને ઘડીયા - હું ભણતો તે વખતે રાત્રી ભોજન પછીનો એક ફરજીયાત તાસ રહેતો. અને સવાયા, દોઢા, ઉઠાં અને અઢીયા - આ મુખપાઠ ન થાય ત્યાં સુધી ઉંઘવા ન મળે.

    પત્ર લેખન હવે હાથે કેટલા કરતા હશે? કહેવાતી આધુનીક શાળાઓમાં હવે ૫ ધોરણ પછી કોમ્પ્યુટર આવી ગયા છે. હોમવર્ક પણ એમાં જ કરવા લાગ્યા છે બાળકો. એ લાંબા ગાળા પછી લાંબુ (પરીક્ષા પુરતું ૩ કલાક) લખી શક્શે કે કેમ એ પણ એક પ્રશ્ન છે.

    ખુબ સરસ લેખ મુકુલભાઇ. અભિનંદન.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. For Peace, Human Minds Belongs To Ideology Not Technology.
    @ravi_thakar on Twitter · via Twitter, Thursday, 19/06/2012

    ReplyDelete
  5. આધુનિક વિષય અને વિવરણ સાથે સરળ ભાષા માં ખુબજ સુંદર ઉપાય સાથે રજૂઆત કરી છે તમે...
    સારું છે મેં ઘડિયા ગોખલા છે અને મારા પુત્ર ને પણ one -za અને two -za ગોખાવેલા છે એટલે બીજી એક પેઢી તો ગણિત માં પારંગત રહેશેજ... કેમ નહી ભાઈ!!!... ગુજરાતી છીએ... અને અહી મુંબઈ માં તો ઘર-ઘંટી નો રીવાજ જ નથી હજી બહાર જઈએ ને દળાવવા નું હોય કે તૈયાર લોટ જ ખરીદવા નો હોય છે કારણકે અહી ઘર ખુબજ નાના હોય છે.... રહી વાત ફોન નંબર ની તો... હું ક્યારેય નવા નંબર save કરતોજ નથી ... પાંચસાત વાર ડાયલ નાં કરું ત્યાં સુધી save જ નાં કરું એટલે નંબર તો યાદ રહીજ જાય પણ કેવી રીતે ખબર છે?... તે નંબર ના દરેક આંકડા નાં button location , yes location પ્રમાણે... એટલે પહેલા નીચેનો જમણી બાજુ નો ખૂણા નું button અને... છેલ્લે સાવ નીછે વચ્ચે નું button એમ button થી યાદ રહે છે... એટલે button ના locations યાદ હોય છે... વિચિત્ર લાગે છે ને... મને પણ એમજ લાગે છે!!!... ચાલો તમારી પરિક્ષા માં થી નપાસ થવા માં થી તો બચી ગયો...
    પણ... નવા problems ઉભા છે તેનું શું?...
    જેમકે... કાગળ ઉપર લખતી વખતે ભૂલ થતા 'UNDO ' નું button શોધુ છું... ઘરમાં વસ્તુ ખવાઈ જાય ત્યારે 'F3' નું button શોધું છું... અને કઈ કેટલીયે વાર રસ્તા ઉપર ની છલકાયેલી કચરા પેટીઓ જોઈ ને 'DELETE ' નું button શોધું છું... આ તકલીફ નો Solution મળે જો તમને કોઈને તો મને જણાવજો...

    ReplyDelete
  6. જાની દાદા...આવી ક્ષુલક જેવી લાગતી બાબતો નો સામુહિક રીતે યોગ્ય ઉપયોગ કરવામા આવે..ફાયદો તો એને અમલમા મુકનાર ને જ છે ને..પણ " મીલ જાયે તો મીટ્ટી હૈ ખો જાયે તો સોના હૈ ".....દરેક તક સોના જેમ ચમકી ને એના મુલ્ય બાબતે જાણ નથી કરતી...

    જાગૃત રહેવા માટેનુ લેશન

    ReplyDelete
  7. વિચારતા કરી મુક્યા તમે ,,,,,,,,,,,

    ReplyDelete
  8. વિકસતી ટેકનોલોજીની આડ અસર

    ReplyDelete
  9. શિર્ષક ખુબ ગમ્યું....વિચારશીલ લેખ છે...પરંતુ ટેકનોલોજીનો આટલો વિરોધ શાને? ટેકનોલોજી વિના જીવવું નો સાચો અર્થ જોઈએ તો પાષાણ યુગમાં પાછા જ્વા સમાન છે...બે પત્થરને ઘસીને અગ્નિ પેટાવવી એટલે પણ ટેકનોલોજી અને એ અગ્નિના સહારે ખોરાક પકવવો પણ ટેકનોલોજી...પાંદડાને વ્યવસ્થિત રીતે બાંધીને લંગોટ બનાવવી થી લઈને કપડા સીવડાવવા એ પણ ટેકનોલોજી...હું તો તેના સિવાય જીવવાની કલ્પના જ નથી કરી શક્તો..માનવ છેક આદિ કાળથી ટેકનોલોજીનો જ ગુલામ હતો છે અને રહેશે....પછી પ્રશ્ન એ થાય કે જીન કોણ અને આકાં કોણ? હા એ વાત સાથે હું સહમત છું જ કે તેનો ઉપયોગ ઔચિત્ય મુજબનો થવો કે કરવો જરુરી છે....દસેક વર્ષ પહેલા ૫૦/૧૦૦ ટેલીફોન નંબર કંઠસ્થ રહેતા....આજે જો મોબાઈલ ઘેર ભુલી ને બહાર નીકળીયે તો કોઇ જ કામ કર્યા વગર પાછા ફરવું પડે એટલી હદે પરવશ થઈ ગયા છીએ....તેમ છતાં નંબર યાદ રાખવા કરતાં મોબાઈલ નહી ભુલવાનું યાદ રાખવું વધારે અનુકુળ લાગે છે.....ખેર હું પણ આપના જેવા વિચારો અમલમાં મુકવાના પ્રયત્ન તો તેમ છતાં પણ કરું છું...આજકાલ હું 'લેપટોપ' ઉપર મારી દિકરીને 'સ્પીડ-્મેથ્સ' શીખવી રહ્યો છું જેથી એ પણ કેલ્ક્યુલેટરની મહોતાજ ના બને (સ્પીડ-્મેથ્સ...એ પણ ટેકનોલોજી જ છે ને?)....મારું માનવું છે કે આ ટેકનોલોજી નો આવિષ્કાર પણ માનવ જ કરે છે અને એ સમય પ્રમાણે પોતાની જાતને પણ કેળવી શકે છે...આકાં...આકાં જ રહેશે....!
    સુંદર વિચારને લેખમાં પરાવર્તિત કરવા બદલ અભિનંદન.

    ReplyDelete
    Replies
    1. મનિષભાઇ, આપના સુંદર વિવેચનાત્મક અભિપ્રાય માટે આભારી છું, આપે ખરેખર ઊંડાણથી લેખને વાંચ્યો છે, પરંતુ આપની એક ગેરસમજ થઈ છે જે સત્વરે દૂર કરવાની ફરજ સમજું છું, આખા લેખમાં ક્યાંય પણ ટેકનોલોજીનો વિરોધ નથી કે નથી ટેક્નોલોજીને ખરાબ ગણાવી, માત્ર એનો વિવિકબુદ્ધિપૂર્વક ઉપયોગ કરવાની વાત કરી છે જેથી એનો વધુ સારી રીતે લાભ લઈ શકાય અને જેથી મૂળભૂત રીતે જે વસ્તુ સગવડ વધારવા માટે આવી છે એ અગવડ વધારવામાં નિમિત્ત ના બને! આશા રાખું છુ કે હું જે કહેવા માગું છું એ હું સ્પષ્ટ કરી શક્યો છું.

      Delete
    2. મુકુલભાઈ
      ખુબ સરસ વિચારશીલ લેખ
      યાંત્રિક પરાધીનતા માણસ ને માનસિક રીતે પણ નબળો બનાવી દે છે ...વીજળી ગુલ થતા ની સાથે તારા ઓ થી ચમકતું આકાશ હવે નથી દેખાતું પણ મોબઈલ ચાર્જીંગ કઇ રીતે થશે એની ચિંતા થાય છે ...પર્વત પર હોશભેર ચડતા લોકો આજે પોતાના ઘરે ત્રીજા માળે લીફ્ટ વગર નથી ચડી શકતા ...ઇનસીક્યોર થતા જવાય છે ..બીકણ થતા જવાય છે ...

      Delete
  10. i will agree with your views..but we must thank all those people who keeps doing R & D to find new technology ........ i am able to express my views so easily just because of net ....most wonderful invention of present time.........will write in detail some other time.........

    ReplyDelete
  11. હવે તો 'જીન' અને 'આકા' ના બે ભાગ કરવા નુ પણ અઘરુ થઇ પડ્યું છે.નવી નવી ટેક્નોલોજી પર ના અવલમ્બન તરફ નો તમારો અંગુલિનિર્દેશ છે તો પ્રશંશનીય પરંતુ એનુ ઝડ્પી અનુસરણ શક્ય બનશે..?

    ReplyDelete
  12. મુકુલભાઈ, ખુબ જ સુંદર લેખ....આંક ગોખવા હવે કોઈને ગમતા નથી...આજે ભારતીયોએ દુનિયામાં જે નામ કમાયું છે તે તેની બુદ્ધિમત્તાને લીધે જ....!!!!! તે બુદ્ધિમત્તા જ જો નહિ રહે તો શું? આપના વેદ-ઉપનિષદ યાદશક્તિની પરંપરાને લીધે જ આજ સુધી સચવાયા છે....વિવેકબુદ્ધિથી ટેકનોલોજીનો ઉપયોગ કરવો તે સો ટકા સાચી....વિચારક ચિંતક ગુણવંત શાહના શબ્દોમાં "વિવેકબુદ્ધિ" એટલે શું? -------- "બીકીની અને બુરખા જેવા બે અંતિમો વચ્ચે જેનો નિવાસ હોય તે વિવેકબુદ્ધિ". આવી વિવેકબુદ્ધિ આપણને નકામી પરંપરાઓ તોડવાની છૂટ આપે છે અને યોગ્ય પરંપરા શરુ કરવાની અનુમતિ પણ આપે છે. જૂની ફેશન તૂટે અને નવી ફેશન સર્જાય તે માટેની સમજણયુક્ત તત્પરતા એ જ "વિવેકબુદ્ધિ". આવી વિવેકબુદ્ધિ વિનાનો માણસ "લલ્લુ" જ ગણાય. આવી વિવેક્બુદ્ધીવાળી સમજણથી જ પ્રાચીન અને અર્વાચીન જેવા બે અંતિમો વચ્ચેનું સમાધાન નીકળી જશે...!!!

    ReplyDelete
    Replies
    1. i m agreed with Dr shah's opinion

      Delete
  13. વાહ સરસ સર મજા આવી.
    એક સમય હતો જ્યારે લેન્ડલાઈનમાં નંબર મારે ડાયલ કરવાનો હોય ત્યારે એક વખત નંબર જોઈ લઉ તો કાયમને માટે યાદ રહી જતો. અત્યારે મારી પાસે મોબાઈલ અને કોમ્પ્યુટર આ બંન્ને આવ્યા ત્યારથી મારી યાદશક્તિ સાવ નબળી પડી ગઈ છે.

    ~ सत्य ओझा

    ReplyDelete
  14. જાયે તો જાયે કહાં ? રસપ્રદ ચર્ચા મુકુલ ભાઈ ...

    ReplyDelete