Wednesday, September 12, 2012

હર ચેનલ પે બાબા બૈઠા હૈ, અંજામે હિન્દોસ્તાં ક્યા હોગા?



         ગળથૂથી
મીણબત્તીનું કામ પ્રકાશ પાથરવાનું છેએનો ઉપયોગ કોઇ આગ લગાડવા માટે કરે તો એમાં મીણબત્તીનો શું વાંક?

          હજુ હમણાં જ, થોડા સમય પહેલાં ટીવી ચેનલો પર કિરપાના કારોબારવાળા એક બાબા બહુ દેખાતા હતા, જે ઉટપટાંગ ઉપાયો દ્વારા લોકોનાં દુ:ખ દર્દ દૂર કરવાનો દાવો કરતા હતા. એકાદ મોટા સ્ટૅડિયમમાં બાબાનો દરબાર ભરાય, પહેલાં બાબા થોડા બોલબચ્ચન આપે અને પછી ખરી નાટકબાજી શરૂ થાય. શરૂઆતમાં બાબાએ ભાડે લાવેલા નૌટંકીબાજો બાબાએ બતાવેલા ઉપાયને કારણે પોતાની તકલીફો કેવી રીતે દૂર થઈ ગઈ છે એનું કાલ્પનિક વર્ણન કરે ને ને જનતામાં બાબાનો જયજયકાર કરાવે. એ પછી તગડી ફી ચૂકવીને સામેથી મૂરખ બનવા આવેલાં ઘેટાંઓ પોતાનાં રોદણાં રડવાનું ચાલુ કરે ને બાબા બધાને અજબ-ગજબના ઉપાયો બતાવે જે આજ સુધી ન તો કોઇએ ક્યાંય સાંભળ્યા હતા કે વાંચ્યા હતા! કોઈને સમોસા તો કોઇને સંતરા, કોઇને ભુટ્ટા તો કોઇને રસગુલ્લા ખાવાના ઇલાજ સૂચવવામાં આવે. આવા સમાગમ ચાલતા રહે ને બાબાના બેંક ખાતામાં કરોડો રૂપિયા ઠલવાતા રહે. પણ એવામાં કોઇ વાંકદેખા ચેનલવાળાથી લોકકલ્યાણનું આ પવિત્ર કાર્ય જોવાયું નહીં ને એણે પોતાના ડોબરમેન, આલ્સેશિયન અને બુલડૉગ બાબાની પાછળ છોડી મૂક્યા. ( હવે  આ ચેનલ વાળાને અચાનક આત્મજ્ઞાન શા માટે થયું અને જનતાનું હિત કેમ હૈયે વસ્યું, એ વળી પાછો અલગ ચર્ચાનો વિષય છે!) બીજી ન્યૂઝ ચેનલોવાળાને પણ પોતાની ટીઆરપીની મૂડી લૂંટાઈ જતી લાગી એટલે એ બધા પણ કૉરસમાં જોડાયા, થોડો વખત રોજના પચ્ચીસ પચ્ચીસ કલાક લેખે ન્યૂઝ ચેનલો પર બાબા પ્રકરણ ચાલ્યું અને બાબા હવે ગાયબ છે, અલબત્ત, સમાચારમાંથી. બાબા આજે ક્યાં છે ને શું કરે છે, જનતાના લૂંટેલા કરોડો રૂપિયાનું શું થયું એની ન તો દરકાર જનતાને છે કે પછી એ ચેનલોને.

             ચાલો જે થયું તે સારૂં થયું. ટીવી ચેનલોએ પોતાની સામાજિક જવાબદારી અદા કરી અને લોકો લૂંટાતા બચ્યા. દિલ કો બહલાને કો ગાલિબ યે ખયાલ અચ્છા હૈ..પણ ખરેખર આવું થયું છે ખરું? ખરેખર ટીવી ચેનલો પૈસા કરતાં સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીને વધારે અગત્યની સમજવા લાગી છે? જવાબ જોઈતો હોય તો ક્યારેક અગિયાર વાગ્યા પછી કે સવારે આઠ વાગ્યાની આસપાસ ટેલિવિઝન ચાલુ કરીને અલગ અલગ ચેનલ પર આંટો મારી જોજો, મોટાભાગની ચેનલ આ ધંધો લઈને બેઠી છે! જુદી જુદી ચેનલો ઉપર જાતજાતના ને ભાતભાતના બાબાઓ પોતાની ચારસોવીસીની દુકાન ખોલીને બેઠા છે. જેમાં સૌથી ખતરનાક અને ઘાતક છે ગોવિંદાબાબા.

             હા, એજ, એજ ગોવિંદા. ફિલ્મસ્ટાર ગોવિંદા. આજકાલ ફિલ્મોમાં ખાસ કામ નથી એટલે આવાં જનતાને છેતરવાનાં બાબાશાહી ષડ્યંત્રનો હાથો બની, જનતાને એને જે ચાહના આપી છે એને વટાવે છે. ગોવંદાબાબાની આ પીંઢારા ટોળીમાં ઘણા જોડાયેલા છે, કેટલાક અજાણ્યાં અને ઘણાં જાણીતાં નામ. એજ સ્ટાઇલ, એવું જ ઓડિટોરિયમ બસ ફરક એટલો કે પેલા બાબામાં લોકો પૈસા ચૂકવીને હાજર રહેતા અને અહીં બધા જ જાણીતા અને અજાણ્યા ચહેરાઓને પૈસા આપીને નાટક કરવા માટે લાવવામાં આવ્યા છે. સૂત્રધાર ગોવિંદાબાબાના સંચાલન હેઠળ એક પછી એક પોતાનો રોલ ભજવવાનું ચાલુ કરે છે. કોઈ એક ગામ આખું દુષ્કાળ અને ગરીબીને કારણે દુ:ખી હતું પણ સરપંચજીની સલાહથી બધાએ શુભધનવર્ષા યંત્ર મગાવી લીધાં એટલે હવે કોઇને કશી ખોટ નથી! એક પંજાબ દી કુડી ના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું ને બે બહેનોને પરણાવવાની જવાબદારી..આ બધું શુભધનવર્ષા મગાવી લેવાથી પાર પડી ગયું! કોઈને પાનના ગલ્લામાંથી કરોડો રૂપિયાના ધંધા સુધી વિકાસ થઈ ગયો તો કોઇને મંદીના સમયમાં પણ સારામાં સારી નોકરી મળી ગઈ! પછી વારો આવે છે જાણીતા ચહેરાઓનો. સૌથી પહેલાં આવે છે ટીવીના બા તરીકે ઓળખાતાં સુધા શિવપુરી., એમના કહેવા મુજબ ઓમ શિવપુરીનું મૃત્યુ થયું પછી ઘરની હાલત ખરાબ હતી અને આ શુભધનવર્ષા મગાવ્યા પછી સૌ સારાવાનાં થયાં. અલબત્ત, કોઇ સુધાજીને એવું પૂછવાની ગુસ્તાખી ના કરી કે ઓમજી નું મૃત્યુ થયું ૧૯૯૦માં એટલે કે બાવીશ વરસ પહેલાં અને આ શુભધનવર્ષા તો ટીવી પર દેખાયું હમણાં ( અને એ પણ તમારી સાથેજ!) તો તમે એ ત્યારે ક્યાંથી મગાવેલું? પણ આવું કોઇ ન પૂછે, કેમ કે સ્ક્રીપ્ટમાં આવું લખેલું નથી હોતું! ગજેન્દ્ર ચૌહાણ (નામ ક્યાંક સાંભળેલું લાગે છે!) અભિનયની ડિગ્રી લઈને બહાર નીકળ્યા, એક સાથે ૩૪ ફિલ્મો મળી, ને બધી જ ડબ્બામાં ગઈ. શુભધનવર્ષા મગાવ્યું ને મહાભારતવાળો રોલ મળ્યો. ગોવિંદા બાબા અહીં આ વાત ને પાછા એમ કહીને અપ્રૂવ કરે કે યુધિષ્ઠિર જુઠ્ઠું ન બોલે. (હદ છે!)

             મહેરબાની કરીને કોઇ એવું ન કહેતા કે ગોવિંદાબાબા અને આ બીજા બધા અહીં ખાલી પૈસા માટે પોતાનો રોલ ભજવે છે, એમાં કશું ખોટું નથી. જો આ બધું પૈસા માટે જ થતું હોય તો સન્ની લિઓને અત્યાર સુધી પૈસા કમાવા માટે જે કાંઇ પણ કર્યું છે એ આના કરતાં ઓછું અનૈતિક અને સમાજ માટે ઓછું ઘાતક છે એમ હું બિનધાસ્ત કહીશ!

             બીજા આવાં એક યંત્રની જાહેરાત આવે છે જેવું નામ છે શિવ-હનુમાન યંત્ર. એલોપથીની દવાઓમાં જેમ જાત જાતનાં કોમ્બીનેશન થાય છે એમ અહીં આ લોકોએ શંકર અને હનુમાનનું કોમ્બીનેશન કરીને યંત્ર બનાવ્યું છે બોલો! બાવાના લિબાસમાં બે એક્ટરો આવે છે અને બૂમબરાડા પાડીને લગભગ લોકોને ડરાવતા હોય એ રીતે માર્કેટિંગ કરે છે. એમની વાત કરવાની સ્ટાઇલ ઉપરથી તો એમજ લાગે કે આ હનુમાન અને શંકર એ બન્ને એમને ત્યાં નોકરી કરતા હશે ને એમના ઑર્ડરથી લોકોનાં દુ:ખ દર્દ દૂર કરવા નીકળ્યા છે!

             એક બાબા આવે છે જી. ડી. વશિષ્ઠ, જે દુ:ખ નિવારણ યજ્ઞ કરે છે. એના યજ્ઞમાં વળી પાછી બે કૅટેગરી છે એક વીઆઇપી જેમાં ભાગ લેવાનો ચાર્જ રૂપિયા ૭૦૦૦ની આસપાસ છે અને બીજી સામાન્ય કૅટેગરી માટે ૩૦૦૦ની આસપાસ. અહીં પણ બધું નિર્મલ બાબાની જેમજ છડેચોક ચાલે છે. એજ રીતે પૈસા જમા કરાવવા માટે બેન્ક એકાઉન્ટનો નંબર આપવામાં આવે છે. વેબસાઇટ પણ છે અને ફોનથી પણ યજ્ઞ બુક કરાવી શકાય છે. એ ઉપરાંત આ બાબાનો એક બહુ મોટો ધંધો છે લાલ કિતાબ અમૃત નામની એક ધતિંગ ચોપડી વેચવાનો, જેમાં ભવિષ્ય હોવાનો દાવો કરેલો હોય છે.

             આ બધું ચાલે છે, અહીં વાત કરી એ તો ખાલી હીમશીલાની ટોચ જેટલું છે, એટલું ધતિંગ મીડિયામાં ચાલે છે, પણ એના માટે ખાલી મીડિયાને દોષ દેવાનો કોઇ અર્થ નથી. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એ કહેવત આજે પણ એટલી જ સાચી છે જેટલી આજથી સો બસ્સો વર્ષ પહેલાં હતી. અઢારમી સદીની અંધશ્રદ્ધાની સામે આજની અંધશ્રદ્ધાની સરખામણી કરીએ તો આજની પરિસ્થિતિ વધારે ભયાનક લાગે છે કારણ કે આજે અંધશ્રદ્ધાની પાસે ટેક્નોલૉજીનો સહારો છે. જી હા, વિચિત્ર લાગે એવી વાત છે પણ જે વિજ્ઞાન અને ટેક્નોલૉજીના કારણે અંધશ્રદ્ધાનો નાશ થવો જોઈએ એ અંધશ્રદ્ધા આજે વિજ્ઞાન અને ટેક્નોલૉજીને પોતાના હાથા બનાવીને વધારે વિસ્તરી રહી છે! કમ્પ્યુટર જેવા અદ‍ભૂત સાધનને પણ માણસે કુંડળી, મેળાપક અને જ્યોતિષ જેવા ચારસોવીસીના ધંધામાં જોતરી દીધું છે! પહેલાં એક પોસ્ટકાર્ડ આવતું એમાં સાત, અગિયાર કે એકવીશ લોકોને પોસ્ટકાર્ડ મોકલવાથી લાભ થશે એવી લાલચ હોય, આજે એવા ઈમેઇલ અને એસ.એમ.એસ. આવે છે. ફેસબુક  પર સાંઈબાબાના ફોટા મૂકીને અપીલ કરાય છે વધુ લોકો સાથે શેર કરો તો લાભ થશે, અરે હદ તો ત્યારે થઈ કે હમણાં હનુમાનનો એક ફોટો જોયો જેના પર તો ધમકીજ લખેલી કે તો શેર નહીં કરો તો અશુભ થશે!

             મીણબત્તીનું કામ પ્રકાશ પાથરવાનું છે, એનો ઉપયોગ કોઇ આગ લગાડવા માટે કરે તો એમાં મીણબત્તીનો શું વાંક? ટેક્નોલૉજીનું પણ એવું જ છે. બસ એજ જૂનો અને જાણીતો, ચવાઈ ગયેલો અનેક વખત આવા રેફરન્સમાં લખાયેલો એ શેર અહીં લખવા સિવાય કોઇ બીજો વિકલ્પ નથી...

બર્બાદ ગુલિસ્તાં કરને કો, બસ એક હી ઉલ્લૂ કાફી હૈ,
હર શાખ પે ઉલ્લૂ બૈઠે હૈં, અંજામે ગુલિસ્તા ક્યા હોગા ?’

ગંગાજળ

             બાબા, બીજા લોકોની તકલીફ દૂર કરવા માટે તમે સમોસા, રસગુલ્લા, સંતરા કે એવું કંઇને કંઇ ખાવાની સલાહ આપતા, હવે જ્યારે તમારા આ કિરપાના કારોબાર ઉપર આફત આવી છે ત્યારે એ આફત તમે શું ખાઇને દૂર કરશો?”

        “બચ્ચા, બાબાએ અત્યાર સુધી જે ખાવું હતું તે ખાઇ ચૂક્યા છે, એને હવે કિરપા માટે કંઇ ખાવાની જરૂર નથી!

14 comments:

  1. મેરે બાબા ક બીઝનેસ ઇસકે બાબા કે બીઝનેસ સે ઝ્યાદા કયું?

    દરેક ચેનલ નો સી ઈ ઓ આ જ વિચારતો હશે....

    ReplyDelete
  2. Khuda ke waaste parda na kaabe se uthaa zaalim
    Kaheen aisa na ho yaa bhee wohee kaafir sanam nikle

    ReplyDelete
  3. Dada...
    Aap pan aavu kaik chalu karo ne...Aap ni personality match thay che...Aney aamara jeva chelao aapni seva ma tayyar j che...
    Hahaha...;)
    Bhavin Chhaya...

    ReplyDelete
  4. ....તીયે મર ગયે, ઔલાદ છોડ ગયે.

    ReplyDelete
  5. મુકુલ દાદા

    ખુબ સારો પણ તમારી લક્ષણીક શૈલી કરતા થોડો ટૂંકો લેખ,
    જો સવાર સવાર માં ભૂલ થી પણ રીમોટ ની ચાપ દબાઈ ગઈ તો લગભગ દરેક ચેનલ પર બાબાઓ નો બબડાટ ચાલુ થઇ જાય...
    પણ મારી દ્રષ્ટી એ એમનો જરાય વાંક નથી , જો ઘરાક મળે તો એમની દુકાન તો ચાલવાની જ ને.
    બહુ લાંબુ વિચારીએ તો આપના સમાજ માં પ્રવર્તતી આર્થિક, સામાજિક, અને માનશીક અસામનતા ને કારણે દરેક બીજના સુખ થી પોતે દુખી છે, દરેક ને અભાવ સતત સતાવે છે. એના કારણે આવા બાબા ઓ ની દુકાન ચાલે છે...

    આ માટે સીધા જવાબદાર રાજકારણી અને ધર્મગુરુઓ પોત પોતાની દુકાન ચલાવવા માં વ્યસ્ત છે એટલે સમાજ વધુ ને વધુ વિષમ બનતો જાય છે...

    ReplyDelete
  6. બાબા નું નામ અને ચેનલ નો સમય બદલાયો ,,નિર્મળ ની જગ્યા એ મલીન બાબા આવ્યા પણ આ બાબા ઓ નું કેન્સર આસાની થી ખતમ નહિ જ થાય

    ReplyDelete
  7. આપણે સૌ નાની-મોટી ભૂલ કરવાના, કરવાના અને કરવાનાજ. જો તમે સ્વીકારો અને સમાજ સ્વીકારે તો તમારું અને સમાજનું લેવલ ઊંચું છે, એથી ઊલટું તે સમજી લેવું. જો ભૂલને દબાવી દો તો તમારું અને સમાજનું લેવલ નીચું જશે. પરંતુ જ્યારે તમારી ભૂલ આદર્શ બની જાય ત્યારે એ મહા અનર્થકારી થાય છે.

    ReplyDelete
  8. આપણે સૌ નાની-મોટી ભૂલ કરવાના, કરવાના અને કરવાનાજ. જો તમે સ્વીકારો અને સમાજ સ્વીકારે તો તમારું અને સમાજનું લેવલ ઊંચું છે, એથી ઊલટું તે સમજી લેવું. જો ભૂલને દબાવી દો તો તમારું અને સમાજનું લેવલ નીચું જશે. પરંતુ જ્યારે તમારી ભૂલ આદર્શ બની જાય ત્યારે એ મહા અનર્થકારી થાય છે. Maulik Joshi

    ReplyDelete
  9. ઈશ્વરના સાક્ષાત્કાર કરાવી આપનાર શિબીરોમાં છેતરાશો નહિ.મુસલમાનો કે ક્રિશ્ચિઅનો કોઇ સાક્ષાત્કાર કરવા જતા નથી એટલે તેઓ ઈશ્વરની બાબતમાં કે ધર્મની બાબતમાં છેતરાતા નથી. શ્રીજી મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે અતિ પ્રારબ્ધવાદી અને શુષ્ક જ્ઞાનીનો સંગ ન કરવો. આના કરતાં નાસ્તિકતા વધારે સારી છે કારણ કે તમારી જાતેજ તમારા પ્રશ્નોનું સમાધાન કરવાનું છે. નાસ્તિકતા મર્દાંગીના વિના ન રાખી શકાય. કાયર માણસો નાસ્તિક ન થઇ શકે.Maulik Joshi

    ReplyDelete
    Replies
    1. મૌલીક ભાઇ...
      ક્રીશ્ચીઆનીટી કે મુસ્લીમ સમાજ માટે પણ નીયમીત આવા બધા પ્રોગ્રામ આવે જ છે.... ક્યારેક સવાર ના ભાગ મા કોઇ જાણીતી ચેનલ ચાલુ કરશો તો ..... તમને આ ખાલી એક જ ધર્મ મા ફેલાયેલી બદી નથી એનો સાક્ષાત્કાર થઇ જશે.......રુચિર્ર દવે

      Delete
  10. Bahu j saras Mukulbhai

    ReplyDelete
  11. બહુજ મસ્ત....
    એક વાત તો ખરેખર બહુ વીચારવા જેવી છે કે જે સેંસર બોર્ડ કે ટીવી ને નીયંત્રણ કરતા બોર્ડ કોઇ અઘરા પ્રોગ્રામ કે સીન ને તરત કટ કરે છે... આટલી બધી અંધ શ્રધ્ધા ફેલાવતી એડવરટાઇઝ્મેંટ્સ કે બીજા પૈડ વીજ્ઞાપનો પર કેમ રોક નથી લગાવતા........ કોઇ ચેનલ પર આવતા પ્રોગ્રામ મા કાળાજાદુ કે વગેરે વગેરે ટાઇપ ના સીન આવતા જ નીચે ડીસ્ક્લેમેર આવવા લાગે છે.... જ્યારે આવી લાલ કીતાબ કે ગોવીંદા ની એડ વખતે આવુ કાઇ આવતુ નથી..... સ્ટ્રેંજ.......આને કંપ્લેન કરવા માટે પણ કોઇ બોર્ડ હોય છે??? બ્રોડકસ્ટીંગ ઓથોરીટી ઓફ ઇંડીયા ને લોક્લ પોલીસ વાળા જેવા હપ્તા પહોચતા હશે...?? આ બધુ ધતીંગ ધ્યાન મા નહી આવ્યુ હોય.....!!!! રુચિર દવે

    ReplyDelete
  12. mukulbhai.. sunni leone e je karyu e paisa mate nahi shokh mate karyu hatu. e rite e aa loko karta naitik rite pan shreshth kahi shakaay.

    ReplyDelete