Tuesday, August 28, 2012

ઇમર્જન્સી: ઘોષિત અને અઘોષિત


         ગળથૂથી
ये सारा जिस्म झुक कर बोझ से दुहरा हुआ होगा

मैं  सजदे  में  न हीं था आपको  धोखा  हुआ  होगा 
-दुष्यंत कुमार

       ’ગુજરાતમાં અત્યારે કટોકટી જેવી પરિસ્થિતિ છે’. થોડા સમય પહેલાં, ગુજરાતના એક સિનિયર નેતાનાં આ બયાને આખા દેશમાં ખાસ્સી ચર્ચા જગાવેલી. આજકાલ સોશિઅલ મીડિયા પર સરકારે સકંજો કસવાની શરૂઆત કરી છે ત્યારે ફરીથી આ ઇમર્જન્સી’ ’આપાતકાલ’ ’કટોકટીજેવા શબ્દોનું સોશિઅલ મીડિયા પર ઘોડાપૂર આવ્યું છે, ત્યારે આજે પણ ભારતની આઝાદી પછીના ઇતિહાસનું એ સૌથી કલંકિત પ્રકરણ યાદ કરીને પચાસને પાર કરી ગયેલી જનરેશનના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ જાય છે પણ આજની જનરેશનને માટે તે આ બધા શબ્દો ખાસ મતલબ નથી રાખતા કારણકે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ આઝાદ થયા પછી ૨૬ જૂન ૧૯૭૫ થી ૨૧ માર્ચ ૧૯૭૭ સુધી  ફરીથી આ દેશ ગુલામી અને અત્યાચારની ઊંડી ગર્તામાં ધકેલાઈ ગયો હતો એની એને ખબર જ નથી!
તો શું હતી આ કટોકટી? એની પાછળના કારણો શું હતાં? એની અસરો શું થઈ? આવો થોડાં વર્ષો ફ્લેશબેકમાં જઈ સમજવાની કોશિશ કરીએ...
*****
             દિલ્હીની પચ્ચીસ જૂનની એ રાત, બીજી રાતો જેવીજ ગરમ અને સામાન્ય હતી, અમીરોના શયનખંડમાં એર કંડીશનની ઠંડક હતી, મધ્યમ વર્ગ પંખાના સહારે દિલ્હીની ગરમી સામે લડવાની કોશિશ કરતો હતો અને ફૂટપાથ પર સુતેલા લોકો કુદરતી હવાના આશરે હતા ત્યારે કોઇને પણ રાજકારણમાં પ્રસરેલી ગરમીનો અંદાજ નહોતો. બીજા દિવસની સવાર ઘણાં આશ્ચર્યો લઈને ઊગી એમાંનું એક એ હતું કે તે દિવસે દિલ્હીમાંથી એક પણ અખબાર નહોતું નીકળ્યું, કારણકે તે રાત્રે તમામ અખબારોના પ્રેસનો વીજપુરવઠો કાપી નાખવામાં આવેલો! તે દિવસે સમગ્ર દેશમાં પણ જે અખબારો નીકળ્યાં એમાંથી મોટા ભાગનાં માં તંત્રીલેખ વાળી જગ્યા કોરી હતી અથવા તો ત્યાં એવું લખેલું હતું કે દેશમાં ઇમર્જન્સી લાગુ થઈ હોવાના કારણે આજનો તંત્રીલેખ છાપી શકાયો નથી. તે રાત્રે રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી એહમદે, શ્રીમતી ગાંધી પ્રત્યેની વફાદારીની સામે રાષ્ટ્રહિતને ગૌણ સમજીને રબ્બરસ્ટેમ્પ તરીકેની એવી મીશાલ કાયમ કરી કે ઇતિહાસ કદી એમનો માફ કરવાનો નહોતો. રાષ્ટ્રપતિએ જે રીતે વિનાસંકોચે તત્પરતાથી લોકશાહીનું ગળું ઘુંટનારા અધ્યાદેશ પર સહી કરી નાખેલી એના પર પછીથી એવું કાર્ટૂન પણ આવેલ કે મહામહિમ બાથટબમાં બાથ લેતા લેતા સહી કરે છે! પોણા બે વર્ષ ચાલનારી એક એવી કાળરાત્રીની શરૂઆત થઈ જે ભારતીય લોકશાહીના ઉજળા ઇતિહાસમાં એક બદનૂમા દાગ તરીકે હમેશાં યાદ રહેવાની હતી.

             આમ તો આ ઇમર્જન્સીનાં મૂળ ૧૯૭૧માં જ નંખાઈ ગયેલાં જ્યારે બાંગ્લાદેશ વિજયને કારણે શ્રીમતી ઈન્દીરા ગાંધીનો રથ જમીનથી ચાર આંગળ અદ્ધર હતો. સ્વાભાવિક રીતેજ એ વર્ષમાં યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને સફળતા મળેલી પરંતુ શ્રીમતી ગાંધી સામે રાયબરેલીની બેઠક પર હારેલા રાજનારાયણે અલ્હાબાદ હાઇકોર્ટમાં ફરિયાદ દાખલ કરી કે શ્રીમતી ગાંધીએ ચૂંટણી દરમિયાન સરકારી મશીનરીનો દુરુપયોગ કર્યો છે. એ પછી ૧૨ જૂન ૧૯૭૫ની ઐતિહાસિક તારીખ, શ્રીમતી ગાંધી અને કૉંગ્રેસ માટે બે માઠા સમાચાર લઈને આવી, ગુજરાતે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને એવો જોરદાર પરાજયનો સ્વાદ ચખાડ્યો જે કોંગ્રેસે આઝાદી પછી આજ સુધી ચાખ્યો નહોતો, અને બીજો આવ્યો અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો, જેમાં ૧૯૭૧માં રાયબરેલીની બેઠક જીતવા માટે શ્રીમતી ગાંધીએ ગોટાળા કર્યાનું સ્વીકાર્યું અને એ ચૂંટણીને રદ ગણવાનું તો કોર્ટે ફરમાન કર્યું જ ઉપરાંત કોર્ટે શ્રીમતી ગાંધી પર છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ પણ લગાવી દીધો! કોર્ટના આ ફેસલા પછી ઘણા વરિષ્ઠ કૉંગ્રેસી નેતાઓનું માનવું હતું કે શ્રીમતી ગાંધીએ ખુરશી છોડી દેવી જોઈએ, પરંતુ સંજય ગાંધી અને એ સમયના બંગાળના મુખ્યમંત્રી સિદ્ધાર્થશંકર રેની સલાહ માનીને શ્રીમતી ગાંધીએ રાતોરાત રાષ્ટ્રપતિ પાસે અધ્યાદેશ પર સહી કરાવીને વહેલી સવારે મંત્રી મંડળની બેઠક બોલાવી ઔપચારિક રીતે સહમતી લઈને છવ્વીસમી જૂનની સવારે આખા દેશમાં આપાતકાલની ઘોષણા કરી દીધી.

             આઝાદી પછી પહેલીવાર તમામ પ્રેસ પર સેન્સરશીપ આવી ગઈ. છાપામાં છપાનારો એકએક એક અક્ષર, સરકારની નજર હેઠળ પસાર થયા પછીજ છપાતો હતો.  Maintenance of Internal Security Act (MISA) હેઠળ આખા દેશમાંથી વીણી વીણીને વિપક્ષી નેતાઓને જેલમાં નાખી દેવામાં આવ્યા, જેમાં જે.પી., અટલજી, જ્યોર્જ, અડવાણી વગેરે સામેલ હતા. આ ઓગણીસ મહિના દરમિયાન આખા દેશમાંથી એક લાખ ઉપરાંત લોકોને કોઇજ કારણ આપ્યા સિવાય પકડીને જેલમાં પૂરી દેવામાં આવ્યા. ઉપરાંત કોંગ્રેસના પણ જે નેતાઓ લોકશાહીની તરફેણમાં હતા એમને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા.આર એસ એસ અને એના જેવાં અન્ય સંગઠનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. જેલમાં ધકેલાયેલા લોકો પર અસહ્ય અત્યાચાર ગુજારવામાં આવ્યો. હદ તો ત્યારે થઈ કે એ વિનાકારણે જેલમાં ગયેલા લોકો વતી ન્યાયાલયમાં દાદ માગવામાં આવી અને જે જે ન્યાયાધીશો સરકારના આ પગલાને અન્યાયી ગણાવ્યું જે ન્યાયાધીશોની સજાના ભાગરૂપે બદલી કરી નાખવામાં આવી! આખા દેશમાં એવું વાતાવરણ હતું કે શ્વાસ લેવો હોય તો પણ સરકારની મંજૂરીથી લેવો પડે! મને યાદ છે કે એ દિવસોમાં હું નવમા ધોરણમાં હતો ને અમારી હાઈસ્કૂલમાં યોજાયેલી એક વક્તૃત્વ સ્પર્ધામાં વિષય તરીકે કટોકટી ના ફાયદા અને ગેરફાયદાઆવું કંઈક હતું, ભાગ લેનાર વિદ્યાર્થીમાં એક પણ એવો નહોતો જે કટોકટીના ગેરફાયદા પર બોલવાની હિંમત કરે, કારણ કે સરકારી દમનના લોખંડી પંજાને ઉંમરનો કોઇ બાધ નહોતો! કેટલાક કાર્યક્રમોનું અમલીરણ અતિઉત્સાહથી કરવામાં આવ્યું, જેમકે નસબંધી, તો સંજય ગાંધીના અતિ ઉત્સાહ અને સફળતાના આંકડા મોટા કરી દેખાડવાની લાહ્યમાં અનેક કુંવારા યુવાનોની પણ ફરજિયાત નસબંધી કરી નાખવામાં આવી હતી! ટૂંક માં આખા દેશના નાગરિકો સાવ સાચા અર્થમાં અને વાજબી કારણોને લીધે ભયભીતહતા.

જ્યોર્જ ફર્નાન્ડિઝ
             આખા દેશમાં ઊઠેલા જબ્બર વિરોધના જુવાળને કારણે ૨૧ માર્ચ ૧૯૭૭ના રોજ ઇમર્જન્સી ઉઠાવી અને ચૂંટણી જાહેર કરવાની સરકારને ફરજ પડી અને સ્વાભાવિક રીતે જ કોંગ્રેસની સરકારે એ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો, શ્રીમતી ગાંધી પોતાની રાયબરેલી સીટ પણ ના બચાવી શક્યાં, કોંગ્રેસની હાર કેવી કપરી હતી અને લોકોનો સરકારના દમન સામેનો રોષ કેવો હતો એનો અંદાજ એ વાત પરથી આવે છે કે ઉત્તરપ્રદેશ, હરિયાણા, દિલ્હી, પંજાબ અને બિહારમાં કોંગ્રેસને એક પણ સીટ મળેલી નહીં! દેશની આઝાદી પછી પહેલીવાર કેન્દ્રમાં બિનકોંગ્રેસી સરકાર સત્તામાં આવી અને મોરારજી દેસાઇ વડાપ્રધાન બન્યા. કટોકટી દરમિયાન થયેલ અતિરેકની તપાસ માટે જસ્ટિસ શાહના ના વડપણ હેઠળ તપાસપંચની નિમણૂક કરવામાં આવી અને ૧૯ મહિનાના લાંબા સમયગાળા પછી ખુલ્લી હવામાં શ્વાસ લેવાનો આનંદ માણતાં અખબારો ઇમર્જન્સી દરમિયાન આખા દેશમાં ઠેકઠેકાણે થયેલા અત્યાચારોની કાળજાં કંપાવતી કહાનીઓથી ઉભરાવા લાગ્યાં. માત્ર ઈન્દીરા ગાંધીના વિરોધ સિવાય, કોઇ પણ પ્રકારની વૈચારીક સમાનતા નહીં ધરાવતા અને કહીં કી ઈંટ કહીંકા રોડા, ભાનુમતીને કુનબા જોડાજેવી જનતા પાર્ટીની સરકારને ચરણસિંગ જેવા સત્તા લાલચુની મદદથી ઈન્દિરા ગાંધીએ તોડી અને દેશની જનતા અને જયપ્રકાશ નારાયણનું સપનું તૂટી ગયું!

             તો આ હતી કહાની એ કટોકટીની, એ કટોકટીની જે શબ્દ કોંગ્રેસને આજે ગાળ જેવો લાગે છે એ ઘોષિત કટોકટીની, પણ આજે દેશમાં ઇમર્જન્સી છે? કે લાગવાની શક્યતા છે? પહેલી વાત તો એ કે ૧૯૭૫ની એ કટોકટીના આજે પણ જે રીતે ક્યારેક આફટર શોક આવી જાય છે એ જોતાં કૉંગ્રેસ તો શું પણ કોઇ પણ સત્તાધારી પક્ષ હવે એ રીતે છડેચોક ઇમર્જન્સી લાદવાની હિંમત કરે નહીં, હા, ધીમે ધીમે પ્રશાસનનો દુરુપયોગ, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને  સોશિઅલ મીડિયા પર આડકતરી રીતે ગાળિયો નાખીને અઘોષિત કટોકટી જેવી પરિસ્થિતિ ચોક્કસ ઊભી કરી શકે છે. અત્યારે એ પરિસ્થિતિ  દેખાઈ રહી હોવાનું માનવા પાછળ ઘણાં કારણો છે. સૌથી પહેલાં આજ ના સત્તાધારી પક્ષના નેતાના બયાનો જુઓ અને એને ૨૬મી જૂન ૧૯૭૫ના રોજ આકાશવાણી પરથી કટોકટીની જાહેરાત કરતી વખતે શ્રીમતી ગાંધી દ્વારા બોલાયેલા શબ્દો સાથે સરખાવો,
             “સરકાર પ્રતિ ષડ્યંત્ર રચાયું છે..” “નિર્વાચિત સરકારને કામ કરવા દેવામાં નથી આવતું..” “આપણી એકતા તોડવા માટે રાષ્ટ્રવિરોધી તત્વો કામ કરી રહ્યાં છે..” “હું નિર્દોષ છું, મારા પર જુઠ્ઠા આક્ષેપો લગાવવામાં આવ્યા છે..” “એ લોકો દેશની અર્થવ્યવસ્થા, શાંતિ અને સુરક્ષા માટે ખતરો છે..ત્યારની એ ભાષા અને અત્યારનાં નિવેદનો, સરખાવી જુઓ, શું લાગે છે?
             પ્રશાસનનો કેવી રીતે દુરુપયોગ થાય છે એતો અરધી રાત્રે રામલીલા મેદાનમાં ઊંઘતા લોકો પર અમાનુષી હુમલો થયો ત્યારે લોકોએ જોઈ જ લીધેલું પણ હજુ હમણાં જ બે દિવસ પહેલાં વડાપ્રધાનના નિવાસસ્થાન ને ઘેરાવ કરવાની જાહેરાત થઈ ત્યારે દિલ્હીનાં બધાં મેટ્રો સ્ટેશનને બંધ રાખવાનો અને આખા દિલ્હીની જનતાને બાનમાં લેવાનો આ તઘલખી તુક્કો પણ એ પ્રકારની માનસિકતાનું જ પરિણામ હતો. તમામ સરકારી એજન્સીઓને રામદેવ, કેજરીવાલ કે કિરણ બેદીની પાછળ લગાડી દેવી એ શું દર્શાવે છે? વાત પ્રેસ સેન્સરશીપની તો એની તો હવે જરૂર જ ક્યાં રહી છે? મોટાભાગનું પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા અત્યારે લક્ષ્મીજીના ચમત્કારથી અભિભૂત થઈ ને મંજીરાવાદનમાં મસ્ત છે! અસમના રમખાણોની વાત હોય, જે ઈઝરાયેલે ખતરનાક આતંકવાદી સંગઠન હિજબુલ્લાનો સાથી ગણાવ્યો છે એવો કોંગ્રેસનો સાંસદ ઓવૈશી હોય કે પછી રાજીવ શુક્લા સંસદીય પરંપરામાં જે સર્વોપરી ગણાય એવા અધ્યક્ષને સંસદને એડજર્ન કરવાની સલાહ આપતા કૅમેરાની સામે ઝડપાય તો પણ એવી મોટી ઘટનાની ચર્ચા કરવામાં લાજ આવે ટીમ અને અન્ના મેં ફૂટ કે પછી રામદેવ કે મંચ પર ક્યૂં નહીં ગયે અન્ના જેવા વિષયો પર કલાકો સુધી પિષ્ટપેષણ ચાલે! ઇલેક્ટ્રોનિક મીડિયાએ સમજદાર નાગરિકોનો વિશ્વાસ ખોઇ દીધો છે એ હકીકત છે. બાકી બચ્યું સોશિઅલ મીડિયા, તો હવે એને સકંજામાં લેવાનું ચાલુ થઈ ગયું છે. ફેસબુક અને ટ્વીટર પર ઘણાબધાં એકાઉન્ટ બ્લૉક થઈ ગયાં છે અને ઘણાં હીટ લિસ્ટમાં છે. આ બધું જોઇને ઈલેક્ટ્રોનિક મીડિયા તા થૈયા કરે છે, કારણ કે  સોશિઅલ મીડિયાને કારણે એનું વસ્ત્રાહરણ થાય છે એ અભિષેક મનુ સિંઘવી વાળા કિસ્સાથી સાબિત થઈ ગયું છે.  સોશિઅલ મીડિયાની તાકાત શું છે એ ઈજીપ્ત અને સિરીયાનાં આંદોલનોમાં તો જોવાઈ જ ગયું છે તથા ગયા વર્ષે અન્નાનાં આંદોલન વખતે પણ સરકારને ખ્યાલ આવી જ ગયો છે.

             એ પણ લોઢામાં લીટી સમાન હકીકત છે કે સરકાર ભલે ગમે એટલા ધમપછાડા કરેસોશિઅલ મીડિયા પર સંપૂર્ણ અંકુશ મેળવવો કોઈ રીતે શક્ય નથી, સામ,દામ,દંડ કે ભેદ થી પણ નહીં!

ગંગાજળ
ઇમર્જન્સી પછી, જનતા સરકાર વખતે શ્રીમતી ગાંધીની ધરપકડ થઈ ત્યારે કોંગ્રેસના એક કાર્યકરે એમને છોડાવવાની માગણી સાથે એક પ્લેન હાઈજેક કરેલું! પછીથી કોંગ્રેસની સરકાર આવી ત્યારે એ ભાઇને નવાજીશ તરીકે લોકસભા કે પછી વિધાનસભાની ખુરશી આપવામાં આવેલી!

9 comments:

  1. મુકુલભાઈ,

    સરસ. તમારી બ્લોગપોસ્ટે ઉદીપક નું કામ કર્યું. તમે જાણો જ છો કે 'સંઘર્ષમાં ગુજરાત' વિશે એફબી પર તો 'પોસ્ટુ' મૂકી પણ બ્લોગ પર મૂકવાનો મેળ પડતો ન હતો.

    એફબી પર તમે આ પોસ્ટ શે'ર કરી છે કે નહિ એ ખબર નથી , કેમ કે મને મળી નહિ એટલે આ (ઇમરજન્સીના) સંદર્ભમાં અહીં આ લિંક શે'ર કરું છું.

    http://rajniagravat.wordpress.com/2012/08/29/doc-on-emergency-modi/

    ReplyDelete
  2. મુકુલભાઇ - એક જોરદાર માહિતિસભર અને આજની પેઢીને સત્યથી અવગત કરાવતો લેખ.

    નીચે જે લખેલ છે એ એક સ્વાનુભવ છે અને મેં ફેસબુકની મારી વોલ ઉપર પણ મુકેલ છે. અહીં કાયમ સચવાશે.

    ક્યારેય વાંક વગર વાણી સ્વાતંત્રતા છીનવાય, અભિવ્યક્તિ સ્વાતંત્રતા છીનવાય, ગમ્મે ત્યારે ગમ્મે તેની ધરપકડ, કોઇ કોર્ટ નહી, ક્યારે છુટકારો થાય તે નક્કી નહી?

    આપણા દેશમાં જ આવું બને એ કલ્પના થાય?

    26 June 1975 – 21 March 1977 (૨૧ મહીના) મા. ઇન્દીરા ગાંધી (એમનો પરીચય: જવાહરલાલ નહેરૂના પુત્રી, રાહુલ ગાંધીના દાદી, સોનિયા ગાંધીના સાસુ) એમણે આ ૨૧ મહિના દેશને ઇમરજન્સીનો પરીચય આપેલો.

    એક અનુભવ: એ વખતે હું તો પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતો હતો. મારા ફાધર જે વેટરનરી સર્જન છે અને સરકારી પશુ દવાખાના જામનગરમાં ડ્યુટી કરતા હતા.

    એક સવારે જામનગરના અમારા રહેઠાણે ૨ જીપ ભરીને પોલીસ આવી. ૫-૬ કોન્સ્ટેબલ અને ૨ ઇન્સપેક્ટર. આવીને મારા ફાધર સાથે અલપઝલપ વાત કરી એમને સાથે લઈને જતી રહી.

    આખો મહોલ્લો અમારા ઘરે ભેગો થઈ ગયો. બધા સાંત્વના આપવા લાગ્યા. મહોલ્લાના વડીલો અને નેતાઓ લડી લેશું અને વિરોધ કરશુંના દિલાસા પણ આપવા લાગ્યા. અને લોકોમાં વાત ફેલાઇ ગઈ કે ડોક્ટર સાહેબને MISA (Maintenance of Internal Security Act) હેઠળ પોલીસ લઈ ગઈ.

    કલાક પછી એ બન્ને જીપ પાછી આવી, અને પોલીસ ઇન્સ્પેક્ટર મારા ફાધરને ઘરે ઉતારી એક સેલ્યુટ માર્યું અને બેગ આપીને થેન્ક્સ કહી એ લોકો જતા રહ્યા.

    હજી મહોલ્લો આખો અમારા ઘર પાસે જ હતો. બધા એમને ઘેરી વળ્યા...

    પછી મારા ફાધરે ખુલાસો કર્યો કે પોલીસની જે હોર્ષ બ્રીગેડ છે એમાંનો એક ઘોડો માંદો પડી ગ્યો હતો અને એ ઘોડો DSPનો પ્રીય હતો. માટે એ ઘોડાની તાત્કાલીક સારવાર માટે મને બોલાવેલો.

    પણ એ ખુલાસા પછી રાહત ફેલાયેલી, હાસ્ય નહી. કારણ? MISAનો ડર બહુ હતો.

    ReplyDelete
  3. વાહ દાદા...
    માહિતી નું બહુજ સરસ સંકલન !!
    આપનો વલોપાત બહુ વ્યાજબી છે...કાશ્મીર થી કન્યાકુમારી સુધી અત્યારે તો એકજ વાત ચાલે છે..
    ૨૦૦૨ ગુજરાત ના દંગા.. મોદી.. આર. એસ. એસ., લઘુમતી...

    કોંગ્રેસ પાસે, વિકાસ, પ્રગતિ, અભ્યાસ, જન સુખાકારી એવા કોઈ મુદાજ નથી...
    એના પ્રતિનિધિઓ ના ખંધા ઈન્ટરવ્યું અને ચર્ચા જોઈ ને મન ખાટું થઇ જાય છે...

    પ્રભુ સૌ નું ભલું કરે....

    ReplyDelete
  4. Waah dada...khub saras
    Amara jeva 30 ni series ma jeevta loko e emergency nu naam j sambhalyu hatu pan aapna shabdo ma samgra situation najar ni samey aavi gai...
    It would have been so horrible for people to servive in the situation where ther is direct controls on basic rights.
    Thanks a lot for prompt information of the worst scenario india has ever faced after 1947....
    Bhavin Chhaya...

    ReplyDelete
  5. જાની દાદુ, મને તો વાચતી વખતે એવું લાગ્યું કે હું જાણે એ સમય માં સરકી ગયો હોય અને અપ થી ડાઉન ક્યારે આવી ગયો એ પણ ખ્યાલ રહો નહીં, આજે જ્યારે વાચતી વખતે એ દ્રશ્ય આંખ સામે તદ્રશ્ય થાય છે તો જેમની નજર સામે આ બનાવ બનેલા છે એમની પર કેવી વીતી હશે ? કટોકટી ના નામે ઇન્દિરા જે જુલ્મ કર્યો છે એ કોઈ સંજોગ માં માફી લાયક નથી સામે પક્ષે એવું પણ જાણવા મળેલ છે કે એ વખતે દેશ ના બોદ્ધિકો (ખી..ખી..ખી.. ) ઇન્દિરા ની ખૂબ તરફેણ કરી હતી ? ઓશો રજનીશ પણ કટોકટી ની તરફેણ માં હતા ? શું કટોકટી પછી ભારત ની જનતા એ કોઈ બોધ પાઠ લીધો હતો કે યાદ શક્તિ નું ભૂલમાંણ વાળી બીમારી એવિ જ રહી હતી ?

    ReplyDelete
  6. વાહ..! ઈમરજન્સી જેવા કાળા કાળ વિષેની માહિતીની ખરા અર્થમાં ચોટદાર રજૂઆત. કોઈપણ સત્તાધારી પક્ષ છડેચોક કટોકટી ન લાદી શકે પણ ધીમે ધીમે આડકતરી રીતે પણ મીડિયા ઉપર ગાળિયો નાખવા તો માગશે જ તે વાત વાસ્તવિકતાની ઘણી નજદીક લાગી રહી છે....

    ReplyDelete
  7. મુકુલભાઈ: ઈમરજન્સી નો કાળ મેં જોયેલો છે.
    આપણા અમદાવાદના બે મહાનુભાવો ને હું અંગત રીતે જાણું છું/જાણતો હતો. કે એમના ઉપર શું વીતી છે તે મને ખબર છે. સ્વ. શ્રી કાંતિ રામી, અને બીજા સ્વ. શ્રી રામુભાઈ શાહ.
    શ્રી રામી, જી.વી.કો.ના કર્મચારી અને ઓલ ઇન્ડિયા એમ્પ્લોયીસ એસો. ના જનરલ સેક્રેટરી. એમને એક બે ભાષણો ઈમાર્જેન્સી વિરુદ્ધ આપ્યા હતા. શુદ્ધ બુદ્ધિથી આપ્યા હતા. તેમની વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ થયું હતું. શ્રી રામી ભાગતા ફરતા હતા. તેઓ સામ્યવાદી પક્ષની સાથે જોડાયેલા હતા અને પક્ષની સંમતિ કે અસંમતી ની ચિંતા વગર બોલ્યા હતા. પરિણામે લગભગ વર્ષ થી વધુ સમય છુપાયેલા રહેવું પડ્યું હતું. આની નોંધ એ વખતના ઇન્ડિયન એક્ષ્પ્રેસે તેમના તંત્રી નોંધ માં લીધી હતી.
    શ્રી રામુભાઈ, સસ્તું કિતાબઘર રીલીફ રોડ અમદાવાદ, ના માલિક, સામ્યવાદના એક સમયના (આઝાદી પહેલાના) સભ્ય અને અમદાવાદમાં બોમ્બ બનાવવા માટે અંગ્રેજો એમની શોધમાં હતા અને ઘણો સમય કેદમાં રહેલા, કેસનો ચુકાદો આવે પહેલા આઝાદી મળી એટલે બચ્યા અને છૂટી ગયા. સામ્યવાદી હોવાના કારણે એમની દરેક પ્રવૃત્તિ ઉપર સીધી નજર, બોલવામાં ઉગ્ર હોવાથી શ્રીમતી ગાંધી વિરુદ્ધ જાહેરમાં બોલે, પરોક્ષ અને પ્રત્યક્ષ દબાણો ને પરિણામે આખું કુટુંબ જાણે એકાંતવાસમાં જીવે. તેઓના પુસ્તક વેચાણ પર પણ ખુબ મોટી અસર થઇ. ભડ ની છાતી વાળો માનસ જ આ દબાણ સહન કરી શકે.
    આપે જે લખ્યું છે તે હકીકત છે, ઉપર જણાવેલા કિસ્સા હકીકત છે પણ જાણીતા નથી. એટલે લખ્યું.

    ReplyDelete
    Replies
    1. આ પૂરક માહિતી ખરેખર સરસ છે, શક્ય હોય તો ફેસબુક પર પણ શેર કરશો જેથી આજની પેઢીને ખ્યાલ આવે કે આ કટોકટી નામની ડાકણ કેવી ભયનાક હતી.

      Delete
  8. ખરેખર અદભુત. આ લેખ મનમોહન સિંહ સરકારના આખરી દિવસોનો છે. અને મારી કમેંટ મોદી સરકારના પ્રારંભિક દિવસોની છે. પરંતુ અઘોષિત કટોકટી છે એવું તો હજી પણ લોકો બોલે છે. આનું કારણ શું?

    ReplyDelete